નવી 9 મહાનગરપાલિકાઓ માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 11 જાહેર સુવિધા પ્રોજેક્ટ માટે જમીન આપશે
ગાંધીનગર: રાજ્યમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આગામી પાંચ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓને નાગરિક સુખાકારી સાથે જોડાયેલા 11 મહત્વના જાહેર હિતના પ્રોજેક્ટ માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી નવી મહાનગરપાલિકાઓમાં મૂળભૂત શહેરી સુવિધાઓના વિકાસને વેગ મળશે અને ટ્રાન્ઝિશન ફેઝમાં રહેલા વિસ્તારોમાં વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરી શકાશે.
સરકારના નિર્ણયનો લાભ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર એમ કુલ 9 નવી મહાનગરપાલિકાઓને મળશે. આ તમામ મહાનગરપાલિકાઓ અગાઉ 'અ' વર્ગની નગરપાલિકાઓ હતી અને તાજેતરમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેમની હદમાં નવા વિસ્તારોનો સમાવેશ થયો છે. આવી સ્થિતિમાં નવા વિસ્તારોમાં પ્રાથમિક નાગરિક સુવિધાઓ ઊભી કરવી સૌથી મોટો પડકાર બની રહી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ નગરપાલિકાઓ માટે અમલમાં રહેલી જમીન ફાળવણીની નીતિનો વ્યાપ વધારી હવે નવી રચાયેલી મહાનગરપાલિકાઓને પણ તેમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે જેથી વિકાસના કામોમાં વિલંબ ન થાય.
આ 11 જાહેર હિતના પ્રોજેક્ટ માટે મળશે વિનામૂલ્યે જમીન
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ નીચેના મહત્વના જાહેર પ્રોજેક્ટ માટે સરકારી જમીન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે:
- નગર સેવા સદન (મહાનગરપાલિકા કચેરી)
- ફાયર સ્ટેશન
- સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)
- વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)
- ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ પ્રોજેક્ટ
- પંપિંગ સ્ટેશન
- પાણી પુરવઠા યોજનાઓ
- સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ
- સ્ટોર્મ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા)
- બાલવાડી/આંગણવાડી
- ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર
- શહેરી વિકાસને મળશે નવી ગતિ
રાજ્ય સરકારનું માનવું છે કે આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓમાં ફાયર સ્ટેશન, એસટીપી, વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા અને અન્ય પાયાની શહેરી સુવિધાઓનું નિર્માણ ઝડપી બનશે. સાથે જ જાહેર બાગ-બગીચા સહિતના નાગરિક સુખાકારીના પ્રોજેક્ટને પણ ગતિ મળશે.
નવી મહાનગરપાલિકાઓ હજુ ટ્રાન્ઝિશન ફેઝમાં હોવાથી તેમના વિસ્તારોમાં આધુનિક શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું સરકારની પ્રાથમિકતા છે. પાંચ વર્ષ સુધી વિનામૂલ્યે જમીન ફાળવવાનો નિર્ણય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પરનો નાણાકીય બોજ ઘટાડશે અને વિકાસ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણમાં મદદરૂપ બનશે.
શહેરી વિકાસના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ નિર્ણય નવી મહાનગરપાલિકાઓને મજબૂત બનાવવા અને આગામી વર્ષોમાં ગુણવત્તાસભર નાગરિક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
