ગુજરાતની 224 APMCની કાયાપલટ થશે, બાંધકામ સહાય 5 કરોડથી વધારી 10 કરોડ કરાઈ
ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યની કુલ 224 એપીએમસીના વિકાસ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ગુજરાત નિયંત્રણ બજાર સંઘના હોદ્દેદારો વચ્ચે મળેલી બેઠકમાં માર્કેટ યાર્ડોની સુવિધા વધારવા માટે સરકારી તિજોરીના દ્વાર ખોલવામાં આવ્યા છે.

માર્કેટ યાર્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા બાંધકામ માટે અપાતી સહાયમાં સરકારે સીધો 100 ટકાનો વધારો કર્યો છે, જેથી ખેતીવાડી બજાર સમિતિઓની આર્થિક તાકાત વધશે.
અત્યાર સુધી એપીએમસીને બાંધકામ માટે જે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હતી, તેને વધારીને હવે રાજ્ય સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
જોકે બજાર સંઘ દ્વારા વિકાસ કામો માટે 15 કરોડની માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકારે હાલમાં 10 કરોડની મંજૂરી આપીને મોટી રાહત આપી છે.
માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે (MSP) થતી ખરીદી પર પણ સેસ (Cess) મળે તેવી માંગણી પર મંત્રીએ આગામી દિવસોમાં હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી છે.
એપીએમસીના કર્મચારીઓના પગાર અને દરજ્જા બાબતે પણ બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી, જેમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ સરકારી ધોરણે પગારની માંગ કરાઈ છે.
કૃષિમંત્રીએ કર્મચારીઓને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, કર્મચારીઓને સરકાર હસ્તક ગણવા બાબતનો પ્રસ્તાવ આગામી કેબિનેટ બેઠકમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે.
આ નિર્ણયથી રાજ્યના 224 માર્કેટ યાર્ડમાં આધુનિક ગોડાઉન અને દુકાનો જેવી સુવિધાઓ વધશે, જેનો સીધો ફાયદો ગુજરાતના લાખો ખેડૂતો અને સ્થાનિક વેપારીઓને મળશે.












Click it and Unblock the Notifications
