ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પોર્ટલ ફરીથી કાર્યરત થયું
ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન નોંધણી ફરીથી શરૂ થઈ ગઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ માહિતી આપી.
નોંધણી શરૂ થઈ ત્યારે એકસાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે ઈ-સમૃદ્ધિ પોર્ટલ ક્રેશ થઈ ગયું હતું અને પહેલા દિવસે કોઈ ખેડૂત નોંધણી કરાવી શક્યા નહોતા.

આ સમસ્યાની જાણ થતાં જ કૃષિ વિભાગે તાત્કાલિક પગલાં લીધાં અને પોર્ટલને અપડેટ કર્યું, જેના પરિણામે આજે 2 સપ્ટેમ્બરથી, નોંધણીની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ શકી છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. જો જરૂર પડશે તો નોંધણીની સમય મર્યાદા લંબાવવામાં પણ આવશે જેથી કોઈ પણ ખેડૂત બાકી ન રહી જાય.
તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે નોંધણી માટે પૂરતો સમય હોવાથી બિનજરૂરી ધસારો ન કરે અને સહકાર આપે. આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો આસાનીથી પોતાના પાકોનું વેચાણ કરી શકશે.












Click it and Unblock the Notifications
