ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છતા ખેડૂતો માટે સારા સમાચાર
ગુજરાતમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયામાં સરકારે મહત્વની રાહત જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, ખેડૂતો હવે SMS મળ્યાના 15 દિવસ સુધી ટેકાના ભાવે મગફળી વેચી શકશે, જ્યારે અગાઉ આ સમય મર્યાદા ફક્ત સાત દિવસની હતી. આ નિર્ણય કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન બાદ ખેડૂતોને મદદ કરવા માટે લેવાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાનના પગલે રાહત સહાય પેકેજ પણ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને કુલ 9,815 કરોડની સહાય ફાળવવામાં આવી છે.
વાઘાણીએ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં આ જાહેરાત કરતા જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે, પંચ રોજકામ અને મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત સહિતની પ્રક્રિયા મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તો માટે પણ સહાય જાહેર કરાઈ છે. તેમાં પિયત અને બિનપિયત જમીન માટે સમાન ધોરણે પ્રતિ હેક્ટર 22,000 (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
