ચોમાસામાં ખેડૂતો આટલી બાબતો ચોક્કસ ધ્યાન રાખો, ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી ખરીદો અને સારૂ ઉત્પાદન મેળવો
ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખેડૂતો ખરીફ પાકોના વાવેતરમાં વ્યસ્ત છે. આ સમયગાળામાં ખેડૂતોને ઉત્તમ ઉત્પાદન મળે તે માટે ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
જો કે, ઘણીવાર નબળી ગુણવત્તાવાળી કે નકલી સામગ્રી બજારમાં ઉપલબ્ધ હોય છે, જે ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. આથી જ રાજ્યના ખેતી નિયામક કચેરીએ ખેડૂતોને કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવા અપીલ કરી છે.

ખેતી નિયામક કચેરી દ્વારા જણાવાયું છે કે, ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી ફક્ત અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ.
લાયસન્સ કે પરવાનો ન ધરાવતા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કોઈપણ સંજોગોમાં કૃષિ માટે જરૂરી સામગ્રીની ખરીદી ટાળવી. આમ કરવાથી તમે છેતરપિંડીથી બચી શકશો અને તમારા પાકને નુકસાન થતું અટકાવી શકશો.
જ્યારે પણ તમે બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદી કરો ત્યારે વિક્રેતા પાસેથી પાકું બીલ લેવાનો આગ્રહ રાખો. આ બીલમાં વેપારીનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલી સામગ્રીનું નામ અને લોટ નંબર જેવી તમામ વિગતો સ્પષ્ટપણે દર્શાવેલી હોવી જોઈએ. બીલ પર વેપારીની સહી પણ ફરજિયાત લેવી. આ બીલ ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી થાય તો પુરાવા તરીકે કામ આવી શકે છે.
ખરીદી કરતી વખતે ઉત્પાદનની મુદત (એક્સપાયરી ડેટ) ખાસ કરીને તપાસવી. મુદત પૂરી થઈ ગયેલી કોઈપણ કૃષિ સામગ્રીની ખરીદી ટાળો, કારણ કે તે તમારા પાક માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને ઉત્પાદન પર નકારાત્મક અસર કરી શકે છે.
હંમેશા વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરેલા જથ્થામાં જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતા ઉપયોગથી પાકને નુકસાન થઈ શકે છે અને જમીનની ફળદ્રુપતા પર પણ અસર પડી શકે છે.
પાકને નિંદામણ મુક્ત રાખવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નિંદામણ પાકના પોષક તત્ત્વો શોષી લે છે, જેના કારણે પાકની વૃદ્ધિ અટકે છે અને ઉત્પાદન પર ખરાબ અસર થાય છે. નિયમિત નિંદામણ કરવાથી પાકને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
જો કોઈ ખેડૂતના ધ્યાનમાં અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું આવે તો તાત્કાલિક ધોરણે સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવી. તમારી એક જાગૃતતા અને જાણકારી અન્ય ખેડૂતોને પણ છેતરપિંડીનો ભોગ બનતા બચાવી શકે છે.












Click it and Unblock the Notifications
