ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે વધારી ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમય મર્યાદા
ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃદ્ધિ પોર્ટલ તારીખ 25 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, તારીખ 15 ઓક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે 35585 ખેડૂતો, સોયાબીન માટે 23316 ખેડૂતો, મગ પાક માટે 95 ખેડૂતો અને અડદ પાક માટે 62 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે.
રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થઈને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા 6377/ક્વિનટલ, મગનો ટેકાનો ભાવ રૂપિયા 8558/ક્વિનટલ, અડદનો ટેકાનો ભાવ રૂપિયા 6950/ક્વિનટલ, અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂપિયા 4600/ક્વિનટલ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી 21 ઓક્ટોબરના રોજથી શરૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
