Magh Purnima 2023: રવિ પુષ્ય અને આયુષ્માન યોગ સાથે 5 ફેબ્રુઆરીએ થશે માઘ સ્નાનનુ સમાપન
માઘનો પવિત્ર મહિનો આવતીકાલે એટલે કે રવિવારે 5 ફેબ્રુઆરી, 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે. જાણો આ દિવસનુ મહત્વ, મૂહૂર્ત સહિત તમામ વિગત.
Magh Purnima 2023: માઘનો પવિત્ર માસ 5 ફેબ્રુઆરી, 2023, રવિવારના રોજ માઘ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે. જે લોકો આખો માસ માઘ સ્નાન કરતા હતા તેઓ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કરશે. જે લોકોએ આખો માસ માઘ સ્નાન નથી લીધુ તેઓ પણ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરીને પોતાના શુભ કાર્યોમાં વધારો કરી શકે છે.
5 કલાક 5 મિનિટ રવિ પુષ્ય યોગ
માઘ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર અને આયુષ્માન યોગના કારણે આ દિવસનુ વિશેષ મહત્વ બની ગયુ છે. આ દિવસે રવિ-પુષ્ય યોગ સવારે 7.09થી બપોરે 12.14 સુધી રહેશે. આ રીતે રવિ-પુષ્યનો યોગ 5 કલાક 5 મિનિટ બનશે. 5 ફેબ્રુઆરીએ પૂર્ણિમા તિથિ રાત્રે 11.58 સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર બપોરે 12.14 વાગ્યા સુધી રહેશે અને આયુષ્માન યોગ બપોરે 2.40 વાગ્યા સુધી રહેશે. આ દિવસે ચંદ્ર સ્વરાશિ કર્કમાં હોવાને કારણે દિવસનુ મહત્વ વધુ વધી ગયુ છે. 5 ફેબ્રુઆરીના રોજ સવારે 7:09 કલાકે સૂર્યોદય થવાને કારણે રવિ-પુષ્યનો સંયોગ સૂર્યોદયથી બપોરે 12.14 સુધી કુલ 5 કલાક 5 મિનિટ ચાલશે.
રવિ-પુષ્ય યોગમાં દાનનુ મહત્વ
રવિ-પુષ્યના દિવસે સોનાના આભૂષણો, ચલ-અચલ સંપત્તિ ખરીદવાનુ મહત્ત્વ છે. આ દિવસે દાન-પુણ્ય કરવાથી પણ રાજસૂય યજ્ઞ જેવુ ફળ મળે છે. આ દિવસે ગરીબોની સેવા કરો, તેમને ભોજન, કપડાં, દવા, જરૂરી વસ્તુઓ ભેટ કરો. પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરો. બ્રાહ્મણોને યોગ્ય સન્માન આપીને ભેટ અને દક્ષિણા આપો. આનાથી તમારા સારા કાર્યોનો ઉદય થશે.
માઘ સ્નાનના સમાપન પર શું કરવુ
જેમણે આખો માસ માઘમાં સ્નાન કર્યુ હોય તેમણે માઘ પૂર્ણિમાના દિવસે સંકલ્પ પૂર્ણ કરવો જોઈએ. આ માટે પવિત્ર નદીઓમાં અથવા પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કર્યા પછી, શુદ્ધ વસ્ત્રો પહેરો અને તમારા પૂજા સ્થાન પર બેસીને ભગવાન સત્યનારાયણની વિધિવત પૂજા કરો. જો શક્ય હોય તો કોઈ બ્રાહ્મણ પૂજારીને બોલાવો અને તેની પાસે પૂજા-પાઠ, હવન કરાવો. તમારી ક્ષમતા અનુસાર બ્રાહ્મણો અને કન્યાઓને ભોજન કરાવો અને યોગ્ય દાન અને ભેટ આપીને આશીર્વાદ મેળવો. તેનાથી તમારી ખુશી અને સમૃદ્ધિમાં વધારો થશે.