MCD ચૂંટણી પહેલાં કેજરીવાલ પર આરોપ, કાયદાનું માન નથી જાળવતાં
રાજકારણનો ચહેરો, ચાલ અને ચરિત્ર બદલવાનો દાવો કરનારા અરવિંદ કેજરીવાલ પર જ કાયદાને અવગણવાનો આરોપ છે.
દિલ્હી માં એમસીડી ચૂંટણી 2017 પહેલાં આમ આદમી પાર્ટી તથા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મોટો ઝાટકો લાગ્યો છે. ભૂતપૂર્વ ઉપ-રાજ્યપાલ નજીબ જંગ દ્વારા ઘડવામાં આવેલી શુંગલુ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. ત્રણ સભ્યોવાળી આ સમિતિની રચના ગત વર્ષે સપ્ટેમ્બર, 2016માં થઇ હતી. સમિતિએ પોતાની તપાસ દરમિયાન સરકાર તરફથી કરવામાં આવેલા 440 નિર્ણયો સંબંધિત ફાઇલો ચકાસી છે. આમાંથી 36 મામલાઓ અંગે હજું કોઇ નિર્ણયો લેવાયા નથી, આથી તેની ફાઇલ પરત કરવામાં આવી છે.

440 નિર્ણયો, 404 ફાઇલો
પૂર્વ નિયંત્રક તથા ઓડિટર જનરલ વી.કે.શુંગલૂની આગેવાનીમાં આ સમિતિએ કુલ 404 ફાઇલોની ચકાસણી કરી છે. સમિતિની રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, આપ સરકારે વહીવટી નિર્ણયોમાં બંધારણ તથા પ્રક્રિયા સંબંધી નિર્ણયોનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે સમિતિએ સરકારના મુખ્ય સચિવ, કાયદા તથા નાણાં સચિવ તથા અન્ય વિભાગના સચિવોને સમન મોકલ્યા છે તથા નિર્ણયો સાથે જોડાયેલા અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરી છે.

સમિતિની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે..
સમિતિની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આપ સરકારને આ મામલે કાયદાના ઉલ્લંઘન અંગે અનેક વાર જાણકારી આપવામાં આવી હતી. સાથે કાયદાના માધ્યમથી રાજ્યમાં ઉપ-રાજ્યપાલને સક્ષમ અધિકારી હોવાની જાણકારી પણ સરકારને આપવામાં આવી હતી. કાયદાના ઉલ્લંઘનના કેવા ગંભીર પરિણામો આવી શકે છે તે અંગે પણ જાણકારી આપવામાં આવી છે.

અધિકારીઓના અભિપ્રાયોની અવગણના
સમિતિએ પોતાની રિપોર્ટમાં તમામ ફાઇલોની તપાસને આધારે કહ્યું છે કે, સરકાર દ્વારા અધિકારીઓના અભિપ્રાયને બાજુએ મુકી, બંધારણીય જોગવાઇઓ, વહીવટી કાયદાઓ તથા આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ ઉલ્લંઘનોમાં ઉપ-રાજ્યપાલની પૂર્વાનુમતિ કે નિર્ણય લેવાયા બાદ અનુમતિ લેવામાં આવી હોય, સરકાર તરફથી પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઇ નિર્ણયો લેવામાં આવ્યા હોય, જેવી મુદ્દાઓનો સમાવેશ થાય છે.

કેજરીવાલનું નિવેદન
રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે, આપ પાર્ટી બીજી વાર સત્તામાં આવી ત્યારે સરકાર તરફથી બંધારણ તથા અન્ય કાયદાઓમાં વર્ણન કરવામાં આવેલ દિલ્હી સરકારની શક્તિઓ સંબંધે અલગ વલણ અપનાવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં મુખ્યમંત્રી કેજરીવાલના એક નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું, કાયદાકીય વ્યવસ્થા, પોલીસ અને જમીન સંબંધિત મામલાની ફાઇલો ઉપ-રાજ્યપાલની અનુમતિ માટે મુખ્યમંત્રી કાર્યાલય થઇ ત્યાંથી ઉપ-રાજ્યપાલને મોકલવામાં આવશે. કેજરીવાલે 25 ફેબ્રૂઆરી, 2015ના રોજ આ નિવેદન કર્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રીની પુત્રીની નિમણૂક અંગે સવાલ
આ રિપોર્ટમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કેટલીક નિમણૂક પર પણ સવાલ કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પુત્રી સૌમ્યા જૈનની નિમણૂક અંગે રિપોર્ટમાં સવાલ કરવામાં આવ્યો છે. મોહલ્લા ક્લિનિક પ્રોજેક્ટ માટે સૌમ્યા જૈનની નિમણૂક કરવામાં આવી હતી. આ મામલે રિપોર્ટમાં કહેવાયું છે કે, સૌમ્યા એક આર્કિટેક્ટ છે, જેની નિમણૂક મહોલ્લા ક્લિનિક મિશનના નિયામક તરીકે કરવામાં આવી છે. સ્ટેટ હેલ્થ સોસાયટીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના નિયમો આ નિમણૂકનું સમર્થન નથી કરતાં.













Click it and Unblock the Notifications
