21 જુલાઇ, 2014 : બિઝનેસના સમાચારોની હાઇલાઇટ્સ
ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ, વિકાસ, રોજગારી, મોંઘવારી પર અસર પડે છે. ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે. તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો...

માર્કેટમાં તેજીનો માહોલ
સપ્તાહના પ્રથમ દિવસે બીએસઇ સેન્સેક્સ 73.61 પોઇન્ટ વધીને 25715.17ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી 20.30 પોઇન્ટ વધીને 7684.20ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇના સેક્ટર્સમાં આજે ગ્રાહકલક્ષી વસ્તુઓમાં 1.5 પાંચ ટકા, ઓઇલ અને ગેસમાં 0.60 ટકા, સ્વાસ્થ્ય સેવાઓમાં 0.12 ટકા, બેંકિંગ સેવાઓમાં 0.03 ટકાનો વધારો જોવાયો હતો. જ્યારે રિયાલીટી ક્ષેત્રે 1.00 ટકા, વિજળી ક્ષેત્રે 0.62 ટકા, સૂચના અને પ્રસારણ ક્ષેત્રે 0.28 ટકા અને ધાતુઓના શેરોમાં 0.24 ટકાનો નોંધપાત્ર ધટાડો નોંધાયો હતો. ડોલર સામે રૂપિયનું મૂલ્ય 60.21 હતું.

વધુ ટેક્સ મેળવાશે : અરૂણ જેટલી
દેશના નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો છે કે એનડીએ સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં લક્ષ્ય કરતા વધુ કરવેરો મેળવવામાં સફળ રહેશે. જેટલી આવકવેરા વિભાગના 30મા વાર્ષિક સમારોહને સંબોધી રહ્યા હતા. જેટલીએ જણાવ્યું હતું કે ગત નાણાંકીય વર્ષમાં લક્ષ્યાંક કરતા ઓછો કરવેરો પ્રાપ્ત થયો હતો. હવે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકાર નિર્ધારિત લક્ષ્ય કરતા વધુ કરવેરો મેળવી બજેટમાં દર્શાવેલ 13.64 લાખ કરોડના આંકડાને પણ વટાવી જશે.

ભારતીય કંપનીઓમાં ટોચના હોદ્દાઓ મહિલાઓની સંખ્યા ઓછી
રેડસ્ટેડ ઇન્ડિયાના વર્ક મોનીટર સર્વેના જણાવ્યા મુજબ તેમના સર્વેમાં ભાગ લેનારા 76 ટકા લોકોનું માનવું છે કે તેમની સંસ્થાઓમાં ટોચના હોદ્દાઓ ઉપર મહિલાઓની સંખ્યા ઓછી છે. જો કે 89 ટકા મહિલાઓ લીડરશીપ ભૂમિકામાં આવવાની ઇચ્છા ધરાવે છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા 80 ટકા લોકોએ કહ્યું છે કે ભારતમાં લીડરશીપ પોઝિશન ઉપર મહિલાઓની સરખામણીમાં પુરુષો વધારે છે. મહિલાઓને ટોપ પોઝિશન પર જવા વધુ સાનુકૂળ વાતાવરણની જરૂર છે.

લોકલ સોર્સિંગનો નિયમ રદ કરાશે
સરકાર સિંગલ બ્રાન્ડ રિટેલમાં વિદેશી રોકાણને સંપૂર્ણપણે મુક્ત કરવા માટે લોકલ સોર્સિંગનો નિયમ રદ કરી શકે છે. વર્તમાન નિયમ મુંજબ વિદેશી રિટેલરે તેનો 30 ટકા માલ ભારતમાંથી જ ખરીદવો પડે તેમ છે પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન આ નિયમમાં ફેરફાર કરશે . તેનાથી ભારતમાં વધારે એફડીઆઇ ની આવકમાં વધારો કરી શકાશે.

FDI : વીમા ક્ષેત્રે શેર હોલ્ડિંગની મુંઝવણ ઉકેલાશે
આજે નાણા સચિવ જી એસ સંધુએ જણાવ્યું હતું કે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ ( એફઆઇપીબી ) બિનજરૂરી અવરોધ પેદા ન થાય તેવી પ્રક્રિયા અમલમાં મૂકશે તેવો તેમને વિશ્વાસ છે . જેથી વીમા ક્ષેત્રે શેરહોલ્ડિંગ અંગેની મુંઝવણને ઉકેલી શકાશે. વીમા સેક્ટરમાં કોઈ ગૂંચવણ ન રહે તે માટે સરકાર વોટિંગ રાઇટ અને મેનેજમેન્ટ કન્ટ્રોલ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે .












Click it and Unblock the Notifications
