23 ફેબ્રુઆરી, 2015થી 2G, 3G, 4Gની જુદી જુદી હરાજી યોજાશે
નવી દિલ્હી, 19 નવેમ્બર : ટેલિકોમ વિભાગ મે 2015 સુધીમાં 3G અને 4G એરવેવ્ઝનું વેચાણ કરવા માંગે છે. આ હરાજી દરમિયાન કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા થશે જેથી સરકારને રૂપિયા 60,000 કરોડથી વધારે આવક થવાની શક્યતા છે. તેનાથી ભારતી એરટેલ અને વોડાફોન ઇન્ડિયા જેવી ટોચની કંપનીઓની સ્પેક્ટ્રમની માંગ સંતોષાશે જે ડેટા ટ્રાફિકમાં વૃદ્ધિ લાવશે.
જોકે, ટેલિકોમ ઉદ્યોગને આ સમયમર્યાદા નિરાશ કરશે. ઉદ્યોગની માંગણી હતી કે બંને સ્પેક્ટ્રમની હરાજી એકસાથે થવી જોઈએ જેમાં ટુજીને પણ સમાવી લેવું જોઈએ. સીડીએમએ તથા જીએસએમ બંને બેન્ડમાં ટુજી એરવેવ્ઝની હરાજી 23 ફેબ્રુઆરી, 2015થી શરૂ થવાની શક્યતા છે જ્યારે બાકીની હરાજી થોડા મહિના પછી થશે.
ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા સેલ્યુલર સહિતની જીએસએમ કંપનીઓનું નેતૃત્વ કરતા સીઓએઆઇના ડીજી રાજન મેથ્યુઝે જણાવ્યું કે, "મારા મતે આ બહુ સારો વિચાર નથી. તેનાથી ટેલિકોમ સેક્ટર પર માત્ર દબાણ વધશે. ઓપરેટર્સ સામે 'કરો યા મરો'ની સ્થિતિ છે તેથી તેમાં રાહત આપવા નિયમનકારે મલ્ટિ-બેન્ડ હરાજી માટે જણાવ્યું હતું."
વોડાફોન અને આઇડિયા જેવી કંપનીઓ પર અત્યારે દબાણ છે કારણ કે ફેબ્રુઆરીની હરાજીમાં તેઓ સ્પેક્ટ્રમ પરત નહીં મેળવી શકે તો કેટલાંક સર્કલમાં સર્વિસ બંધ કરવી પડે તેમ છે. જો એક જ હરાજીમાં તમામ બેન્ડને સંયુક્ત રીતે વેચવામાં આવે તો એરવેવ્ઝનો પુરવઠો વધારે રહેશે અને કંપનીઓએ કદાચ ઓછાં નાણાં ખર્ચવા પડે તેવી શક્યતા છે. ગ્રાહકોને 3G અને 4G સ્પેક્ટ્રમની હરાજીમાંથી ફાયદો થશે કારણ કે તેનાથી હાઈ સ્પીડ એરવેવ્ઝનો પુરવઠો વધારે હશે અને નવી કંપનીઓના પ્રવેશથી ભાવયુદ્ધ શરૂ થશે.