અર્થતંત્રના સુધાર માટે અરૂણ જેટલી RBIના રેટકટની તરફેણમાં
નવી દિલ્હી, 18 નવેમ્બર : નાણામંત્રી અરુણ જેટલીએ પાટનગરમાં એક સિટી ઇન્વેસ્ટર ફોરમમાં જણાવ્યું હતું કે મૂડીખર્ચમાં ઘટાડો ભારતીય અર્થતંત્રને સારો વેગ આપશે. પરંતુ તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણય આરબીઆઇએ કરવાનો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિની જાહેરાત કરે તે અગાઉ ગવર્નર રઘુરામ રાજને બીજી ડિસેમ્બરના રોજ વ્યાજના દરમાં કાપ મૂકવો જોઈએ કે નહીં તે બાબતે જેટલીએ તેમની પસંદગી સ્પષ્ટ કરી દીધી છે.
સરકાર હવે જે આર્થિક સુધારા કરવાની છે તેની યાદી પણ નાણાપ્રધાને આપી હતી જેમાં ગૂડ્ઝ તથા સર્વિસ ટેક્સ માટે બંધારણીય સુધારણા ખરડો, વીમા સુધારણા ખરડો તથા માળખાગત પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે જમીન સંપાદન કાયદાને બદલવાનો સમાવેશ થાય છે.

ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને પાંચ વર્ષના નીચા સ્તરે 1.77 ટકા પર હતો જ્યારે રિટેલ ફુગાવો ઘટીને 5.5 ટકા હતો જે આરબીઆઇના 2016ના છ ટકાના લક્ષ્યાંક કરતાં નીચો છે. તેના કારણે ઉદ્યોગો તથા કેટલાક અર્થશાસ્ત્રીઓએ વ્યાજના દરમાં ઘટાડાનો સૂર છેડ્યો હતો.
જેટલીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, "ફુગાવો, ખાસ કરીને ખાદ્યાન્ન ફુગાવો પાછલા કેટલાક મહિનામાં હળવો થયો છે તથા વૈશ્વિક સ્તરે ઈંધણની કિંમતમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે આરબીઆઇ મૂડીનો ખર્ચ ઘટાડે તો તે દેશના અર્થતંત્રને સારો વેગ આપી શકે." તેમણે આરબીઆઇને એક ઉચ્ચ કક્ષાની નાણાકીય સંસ્થા તરીકે સંબોધી હતી.
મોટા ભાગના નિષ્ણાતો માને છે કે રાજન 2015માં પાછલા મહિનાઓમાં વ્યાજના દરમાં ઘટાડો કરશે, જ્યારે તેમને ફુગાવાનો દર નીચા સ્તરે સ્થિર થયો હોવાની ખાતરી થશે. પરંતુ આ માટે અત્યંત સબળ કારણો રજૂ કરવા પડશે કેમ કે ઊંચા વ્યાજદર સામે ઉદ્યોગજગતમાં રોષ વધી રહ્યો છે. ઔદ્યોગિક સેક્ટરે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે ઘણો ખરાબ દેખાવ કર્યો છે તથા સપ્ટેમ્બરમાં સૌથી ઊંચો ફક્ત ૨.૫ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો.
ગોલ્ડમેન સૅક્સે સોમવારે એક નોંધમાં જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે આરબીઆઇ ફેબ્રુઆરી તથા એપ્રિલ એમ બંને પોલિસી વખતે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે.અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર હવે જે આર્થિક સુધારા કરવાની છે તેનો ચિતાર પણ જેટલીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે રેલવેમાં સીધા વિદેશી રોકાણ માટે દરવાજા ખુલ્લા મૂક્યા છે.












Click it and Unblock the Notifications
