રેલકર્મીઓએ પણ આપી હડતાલની ધમકી , 26 હજાર કરોડનું નુકસાન થવાની આશંકા
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: ટ્રેડ યુનિયનોની હડતાલનો આજે બીજો દિવસ છે. હડતાલના કારણે આજેપણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બુધવારે 11 કેન્દ્રિય મજદૂર યુનિયનો દ્રારા જાહેર કરવામાં આવેલી બે દિવસના બંધની શરૂઆત હિંસાથી થઇ હતી અને દેશમાં અલગ-અલગ જગ્યાએ હિંસા, આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી.
Update: 10:58
નવી દિલ્હી: ભારતીય રેલવે ગોડાઉન કર્મચારીઓના ટ્રેડ યુનિયને આજે ધમકી આપી છે કે જો આગામી રેલ બજેટમાં તેમની માંગણી સ્વિકારવામાં નહી આવે તો રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવામાં આવશે. યુનિયનની માંગણીઓમાં છ લાખ કર્મચારીનો કાયમી કરવાની માંગણીનો સમાવેશ થાય છે. ભારતીય રેલ માલ ગોડાઉન શ્રમિક સંઘે કહ્યું છે કે જો સરકારે તેમની માંગણી પર ધ્યાન આપશે નહી તો આખા દેશમાં રેલ સેવાઓને અસર વર્તાશે.
સંઘના મહાસચિવ અરૂણ કુમાર પાસવાને કહ્યું હતું કે 'અમે ગોડાઉનમાં કરનાર છ લાખ લોકોને કાયમી કરવાની માંગણી કરીએ છીએ. સરકાર આશ્વાસન આપતી રહી છે પરંતુ હવે અમે પરિણામ ઇચ્છીએ છીએ. જો સરકાર અમારી માંગણી પર ધ્યાન આપતી નથી તો અમે 'રેલ રોકો' પ્રદર્શન કરીશું.
હડતાલના પહેલાં દિવસે એટલે કે બુધવારે દેશના વિભિન્ન ભાગોમાં બેકિંગ સેવાઓ ઠપ્પ રહી હતી અને સાર્વજનિક પરિવહન સેવાઓને બાધા ઉભી થઇ હતી. હિંસામાં હરિયાણામાં એક યુનિયન નેતાનું મોત નિપજ્યું હતું જ્યારે દિલ્હી નજીક નોઇડામાં છૂટાછવાયા હિંસાના બનાવોમાં અનેક કારખાના એકમોને નુકસાન પહોંચ્યું હતું. કેરલ, ત્રિપુરા અને બિહાર હડતાલથી સૌથી પ્રભાવિત રાજ્યમાં સામેલ રહ્યાં હતા જ્યાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું જ્યારે ઓરિસ્સા અને કર્નાટકમાં હિંસાના છુટાછવાયા બનાવો સામે આવ્યાં છે. કેટલાક શહેરોમાં વિરોધ માર્ચ નિકાળવામાં આવી હતી.
બે દિવસની દેશવ્યાપી હડતાલ દરમિયાન નોઇડામાં કારીગરો અને કારખાનાના માલિકો વચ્ચે હિંસા થઇ હતી અને 25થી વધુ વાહન ફૂંકી માર્યા હતા. ત્યારબાદ પોલીસે 50 લોકોની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એસોચૈમે બંધના પહેલા 26 હજાર કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજો લગાવ્યો છે. પહેલાં આ અનુમાન 20 હજાર કરોડનું લગાવવામાં આવ્યું હતું. સંસ્થાએ બુધવારે એક વિજ્ઞપ્તિ જાહેર કરતાં કહ્યું હતું કે બે દિવસની આ હડતાલથી જીડીપી પર અસર વર્તાશે. દેશની આર્થિક રાજધાની મુંબઇ પર જે અસર વર્તાઇ છે, તેને જોતાં નુકસાન વધ્યું છે.