Gas Cylinder: રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો કેટલી વધી કિંમત
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. જાણો કેટલો વધારો ઝીંકાયો.
નવી દિલ્લીઃ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર 168 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે સોમવારે જ નાણામંત્રી સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો ઈનકાર કરી દીધો હતો અને તેના બીજા જ દિવસે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
મંગળવાર એટલે કે આજથી લાગુ થશે નવા ભાવ
નોંધનીય છે કે અત્યાર સુધી 14.20 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ 838.50 રૂપિયા હતાજે 25 રૂપિયાના વધારા બાદ 863.50 રૂપિયા થઈ ગયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સિલિન્ડરની કિંમત 707 રૂપિયા આસપાસ હતી જે આઠ મહિનામાં વધીને 863.50 રૂપિયા થઈ ગઈ છે. નવા દર મંગળવાર એટલે કે આજથી લાગુ થશે. એક ઓગસ્ટે જ કૉમર્શિયલ સિલિન્ડર પર 72.50 રૂપિયાનો વધારો થયો હતો. હજુ સુધી કેટલી સબસિડી ખાતામાં પહોંચશે એ નક્કી નથી. 19 કિગ્રાવાળા કૉમર્શિયલ ગેસ સિલિન્ડ 1644.50 રૂપિયામાં ઉપલબ્ધ હશે.
ગ્રાહકને કેટલી સબસિડી મળે છે
ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં પ્રત્યેક ગેસ કનેક્શન માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સરકાર સબસિડી આપે છે. ગ્રાહકોએ દરેક સિલિન્ડરની કિંમત ચૂકાવવાની હોય છે. બાદમાં સબસિડીના પૈસા ખાતામાં પાછા આવી જાય છે. જો ગ્રાહક આનાથી વધુ સિલિન્ડર લેવા માંગે તો તેણે બજાર કિંમતે ખરીદવા પડે છે.
કેટલો જીએસટી વસૂલે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર
રાંધણ ગેસ પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવે છે જેમાં 2.5 ટકા કેન્દ્રના ખાતામાં અને 2.5 ટકા રાજ્યના ખાતામાં જાય છે એટલે કે 19.20 રૂપિયા કેન્દ્ર અને રાજ્યના ખાતામાં પ્રતિ સિલિન્ડર જાય છે. કૉમર્શિયલ ગેસ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે જેમાં 9 ટકા કેન્દ્રના ખાતામાં અને 9 ટકા રાજ્યના ખાતામાં જાય છે એટલે કે 124.70 રુપિયા કેન્દ્ર અને રાજ્યના ખાતામાં પ્રતિ સિલિન્ડ જાય છે.