ક્રુડના ભાવમાં કડાકો; સરકારને ડીઝલના વેચાણ પર મળશે બમણો નફો
નવી દિલ્હી, 16 ઓક્ટોબર : નરેન્દ્ર મોદી સરકાર 19 ઓક્ટોબર બાદ ગમે તે સમયે ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવનારા દિવસોમાં ડીજલની કિંમતોમાં રૂપિયા 3.56 પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઇ શકે છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલ એટલે કે ક્રુડ ઓઇલની કિંમતોમાં નોંધાયેલા ઘટાડાને પગલે કરવામાં આવશે.
નોંધનીય છે કે ભારતમાં છેલ્લા 5 વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે જ્યારે ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવશે.
મહત્વની બાબત એ છે કે 16 ઓક્ટોબરથી શરૂ થયેલા પખવાડિયા દરમિયાન ડીઝલ પર સરકારી કંપનીઓને પ્રતિ લીટર રૂપિયા 3.56નો નફો થઇ રહ્યો છે. ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં કંપનીઓને રૂપિયા 1.90નો ફાયદો કે નફો થઇ રહ્યો હતો.
છેલ્લા ઘણા મહિનાઓથી દર મહિને ડીઝલની કિંમતોમાં 50 પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ ઘટતા કંપનીઓનો નફો વધ્યો છે. કંપનીઓ આજથી બમણો નફો કમાઇ રહી છે.
ડીઝલના ભાવ ઘટાડા અંગે પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. જેના પગલે આચારસંહિતા અમલમાં છે. આ કારણે સરકાર ભાવ ઘટાડા અંગેનો કોઇ પણ નિર્ણય 19 ઓક્ટોબર બાદ જ લઇ શકશે.
આ નિર્ણય જ્યારે લેવાય ત્યાં સુધી સરકારી કંપનીઓ ડબલ નફો કમાશે.