જાણો : ભારતીય ખાતેદારોએ સ્વીસ બેંકોમાંથી 14000 કરોડ કેવી રીતે કાઢી લીધા?
નવી દિલ્હી, 31 ઓક્ટોબર : સ્વીત્ઝરલેન્ડની બેંકોમાં સચવાયેલા ભારતીયોના કાળા નાણા દેશમાં પરત લાવવાની દિશામાં ભારત સરકારે આદરેલા સક્રિયા પગલાંને જોતા કાળા નાણા ધરાવતા ખાતેદારોએ વિદેશી બેંકો ખાસ કરીને સ્વીત્ઝરલેન્ડની બેંકોના ગુપ્ત ખાતાઓમાં જમા કરવામાં આવેલી રકમ કાઢવાનું શરૂ કરી દીધું છે.
આ અંગે એનડીટીવીના એક અહેવાલમાં સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો હતો. એનડીટીવીને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ સંદર્ભમાં મહત્વની જાણકારી પ્રાપ્ત થઇ છે.
ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ભારત સરકારના આકરા વલણને પગલે સ્વીત્ઝરલેન્ડના બેંક ખાતાઓમાંથી ભારતીય ખાતાધારકોએ કરોડોની રકમ કાઢી લઇને સગે વગે કરી દીધી છે.
વાસ્તવમાં ભારતે વર્ષ 2010માં સ્વીત્ઝરલેન્ડને સ્વીસ બેંકોમાં ગેરકાયદેસર રીતે ગુપ્ત ખાતુ રાખનારા ભારતીયોની જાણકારી માંગી હતી. આ માહિતી માંગ્યા બાદ અત્યાર સુધીમાં અંદાજે 14000 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે.
સ્વીત્ઝરલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2006માં સ્વીસ બેંકોમાં ભારતીયોના અંદાજે 23000 કરોડ રૂપિયા જમા હતા. હવે વર્ષ 2010 બાદ માત્ર 9000 કરોડ રૂપિયા જ જમા છે.