વૈશ્વિક મોંઘવારી રોકવા IMFએ માંગી ભારતની મદદ, એક નિર્ણયથી પડશે ફર્ક
ભારત ધીરે ધીરે ગ્લોબલ સુપર પાવર બનવા તરફ વધી રહ્યો છે. વર્તમાન સમયમાં આપણો દેશ દુનિયાનું સૌથી મોટુ બજાર બની ગયું છે. વિશ્વના તમામ દેશો ભારત સાથે મળીને કામ કરવા માંગે છે. વૈશ્વિક મુદ્દે સમગ્ર દુનિયા ભારતના વલણની રાહ જોવે છે.
તાજેતરમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારત સરકારના નિર્ણયથી વિશ્વના ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ જણાવ્યું છે કે, તે ભારતને ચોખાના ચોક્કસ ગ્રેડની નિકાસ પરના નિયંત્રણો હટાવવા માટે પ્રોત્સાહિત કરશે, કારણ કે આ વૈશ્વિક ફુગાવા પર અસર કરી શકે છે.

ભારત સરકાર દ્વારા 20 જુલાઈના રોજ સ્થાનિક પુરવઠો વધારવા અને આગામી તહેવારો દરમિયાન છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નોન-બાસમતી ચોખા અને બાસમતી ચોખા માટે નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. બંને જાતો કુલ નિકાસમાં મોટો હિસ્સો ધરાવે છે.
નોન-બાસમતી સફેદ ચોખાનો 25 ટકા હિસ્સો - દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરિંચાસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં, આવા પ્રતિબંધોથી બાકીના વિશ્વમાં ખાદ્યપદાર્થોની કિંમતો અસ્થિર થવાની સંભાવના છે અને અન્ય દેશો બદલો લઈ શકે છે.
અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરિંચાસે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, તેથી અમે ચોક્કસપણે ભારતને નિકાસ પરના આવા નિયંત્રણો દૂર કરવા માટે પ્રોત્સાહિત કરીશું. કારણ કે, તેની વિશ્વ પર નુકસાનકારક અસર પડી શકે છે. ભારતમાંથી નોન-બાસમતી સફેદ ચોખા મુખ્યત્વે થાઈલેન્ડ, ઈટાલી, સ્પેન, શ્રીલંકા અને યુએસએમાં નિકાસ કરવામાં આવે છે.
શા માટે ભારતે બાસમતી ચોખા પર પ્રતિબંધ મૂક્યો? - ચોખાના સ્થાનિક ભાવમાં વધારો થઈ રહ્યો છે. છૂટક કિંમતો એક વર્ષમાં 11.5 ટકા અને છેલ્લા મહિનામાં 3 ટકા વધી છે. સરકારે જણાવ્યું હતું કે, નિકાસ પ્રતિબંધનો હેતુ ભારતીય બજારમાં નોન-બાસમતી સફેદ ચોખાની પર્યાપ્ત ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાનો અને સ્થાનિક બજારમાં ભાવ વધારાને ઘટાડવાનો હતો.
ઉત્તરમાં ચોખા ઉગાડતા રાજ્યોમાં ભારે ચોમાસાના વરસાદ અને દેશના અન્ય ભાગોમાં ઓછા વરસાદ જેવા અણધાર્યા હવામાન ફેરફારોને કારણે દેશમાં ચોખાના ઉત્પાદનને અસર થઈ હતી.
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે વરસાદને કારણે પંજાબ અને હરિયાણામાં નવા વાવેલા પાકને નુકસાન થયું છે અને ઘણા ખેડૂતોને ફરીથી વાવેતર કરવાની ફરજ પડી છે. એક અહેવાલ મુજબ, અન્ય ચોખા ઉગાડતા રાજ્યોમાં ખેડૂતોએ ડાંગરની નર્સરીઓ તૈયાર કરી છે, પરંતુ અપૂરતા વરસાદને કારણે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં અસમર્થ છે.












Click it and Unblock the Notifications
