ભારતનો GDP વૃદ્ધિદર 5.5 ટકા રહેવાની ધારણા : રિપોર્ટ
વી દિલ્હી, 19 ડિસેમ્બર : ભારતના નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014-15માં ભારતનો આર્થિક વૃદ્ધિદર એટલે કે જીડીપી વૃદ્ધિ 5.5 ટકા રહેવાની ધારણા છે.
આજે લોકસભામાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ અર્ધવાર્ષિક આર્થિક સમીક્ષા રિપોર્ટ રજૂ કર્યો હતો. આ સમીક્ષા અહેવાલમાં સ્થગિત થઇ ગયેલા પ્રોજેક્ટ્સને ઝડપથી મંજુરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આર્થિક મંદીને રોકવા માટે ઓક્ટોબર-માર્ચમાં ઈકોનોમીમાં તેજી આવે તે જરૂરી છે. અર્ધવાર્ષિક સમીક્ષા અહેવાલમાં ચાલુ નાણાકીય વર્ષે ટેક્સનો વૃદ્ધિ દર અપેક્ષાથી ઓછો રહેવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલમાં નાણાકીય વર્ષ 2015માં 4.1 ટકાની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરવાનું પડકારજનક હોવાનું જણાવાયું છે. તેમાં ચાલુ નાણાકીય વર્ષે ચાલુ ખાતાની ખાધ 2 ટકાની આસપાસ રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ 2013માં ભારતનો આર્થિકવિકાસ દર 5 ટકા, જ્યારે 2014માં 4.7 ટકા અને 2014ના પ્રથમ ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ 5.7 ટકા અને બીજા ત્રિમાસિકગાળામાં 5.3 ટકા હતો.