પાછોતરા વરસાદથી ખરીફ અને રવિ પાકના ભાવ ઘટ્યા
છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની તુલના કરીએ તો આ વર્ષે ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં છેલ્લા મહિનામાં થયેલા પાછોતરા વરસાદને પગલે કપાસ, સોયાબીન અને કઠોળના પાકને લાભ થયો છે.
રાજસ્થાનમાં થયેલા વ્યાપક વરસાદને પગલે ગુવારના ભાવ ઘટીને રૂપિયા 8000ના સ્તરે પહોંચ્યા હતા. આ વર્ષે ગુવારના ભાવ રૂપિયા 30,000 પ્રતિ ટન થતાં પાકની રેકોર્ડ વાવણી થઇ હતી. દીવેલિયાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મોટા ભાગે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં લેવાતા દિવેલિયાના ભાવમાં તાજેતરની ટોચની સપાટીમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.
કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે તાજેતરના વરસાદને પગલે ગુજરાતના ખેડૂત દિવેલિયાનો રોકડિયો પાક લેવા તરફ વળ્યા છે. જુલાઇ - ઓગસ્ટમાં પડેલા ઓછા વરસાદને પગલે અખાદ્ય પાક નિષ્ફળ ગયા હતા.