મોદી સરકાર મોંઘવારી ઘટાડવા નેશનલ ફૂડ ગ્રિડ શરૂ કરશે
નવી દિલ્હી, 16 જુલાઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાંથી મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું છે. હજી સુધી આ અંગે કોઇ ખાસ પગલાં લેવાયા નથી. જો કે હવે ફૂડ પ્રાઇસ (ખોરાકના ભાવો)ને અંકુશમાં લેવા માટે નેશનલ ફૂડ ગ્રિડની યોજના પર કામ કરી રહી છે.
આ માટે વધારે ઉત્પાદનવાળા વિસ્તારોની સાથે ઓછા ઉત્પાદનવાળા વિસ્તારને જોડીને આગળ વધવામાં આવશે. ફળફળાદી અને શાકભાજીના બગાડને રોકવા માટે પણ પગલા લેવામાં આવશે. ફુડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલે આ મુજબની જાહેરાત કરી છે.
ફુડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલે જણાવ્યું હતું કે વિધિવત જાહેરાત કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી લેવામાં આવશે. આ યોજના મુજબ સરકાર એક ફુડ મેપ અને નેશનલ કોલ્ડ ચેઇન ગ્રીડ વિકસિત કરવા પર કામ કરી રહી છે.
બાદલે કહ્યું કે ભાવ વધારાને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. શાકભાજી અને ફળફળાદીના બગાડને રોકવા માટે કાપણીના સમય માળખું તૈયાર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જે રીતે વિજળીને જોડવા માટે પાવર ગ્રીડ છે તે જ રીતે ફુડ ગ્રીડ બનાવવામાં આવશે.
બાદલે જણાવ્યું કે જીવન જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની વાસ્તવિક સમયની માહિતી, પોલ્ટ્રી, ડેયરી પેદાશની માહિતી અપ ટુ ડેટ રાખવામાં આવશે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરતી પ્રોસેસિંગ વ્યવસ્થા નહી હોવાના કારણે 44,000 કરોડની ખાદ્ય વસ્તુઓ વાર્ષિક દરે બગડી જાય છે.
સરકારે અભ્યાસ બાદ જાણ્યું છે કે ભાવ વધારાને કાબુમાં લેવા અને ચીજ વસ્તુઓને જતનથી રાખવા માટે ફુડ પ્રોસેસિંગ મહત્વપૂર્ણ બાબત છે. આના પર ધ્યાન આપવાની જરૂર છે. મેગા ફુડ પાર્કને રાહતની તૈયારી પણ ચાલી રહી છે. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી એક્ટમાં સુધારો કરનાર રાજ્યોને રાહત આપવામાં આવશે. મરીન પ્રોડક્ટ માટે પણ મેગા પાર્કની રચના કરવામાં આવશે.