જાણો : કઇ કંપની આપે છે કર્મચારીઓને અનલિમિટેડ રજાની આઝાદી?
નવી દિલ્હી, 12 ઓક્ટોબર : વિશ્વની જાણીતી એરલાઇન ઓપરેટર કંપની વર્જિન ગ્રુપના માલિક રિચાર્ડ બ્રાનસને પોતાની કંપનીના કર્મચારીઓને ચાહે તેટલી રજાઓ લેવાની ઓફર કરી છે.
પોતાની વેબસાઇટ પર તેમણે લખ્યું છે કે વર્જિનની હેડઓફિસમાં કામ કરતા 170 કર્મચારીઓ જ્યારે ઇચ્છે ત્યારે અને જેટલી ઇચ્છે તેટલી રજાઓ લઇ શકે છે. રિચાર્ડના આ નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે.
તેમણે પોતાના કર્મચારીઓને એમ પણ જણાવ્યું છે કે રજા લેવા માટે તેમણે કોઇને પૂછવાની જરૂર નથી, તેમણે કોઇને જણાવવાની પણ જરૂર નથી કે તેઓ ક્યારે પાછા આવશે. બસ, તેમની ગેરહાજરીમાં કંપનીને કોઇ પ્રકારનું નુકસાન થવું જોઇએ નહીં.
બ્રાનસને જણાવ્યું કે આ બાબતની પ્રેરણા તેમને તેમની દીકરી પાસેથી મળી છે. તેણે આવી જ એક યોજના અંગે ઓનલાઇન ટીવી કંપની નેટફ્લિક્સ પર વાંચ્યું હતું.
અબજોપતિ બ્રાનસને આગળ એમ લખ્યું છે કે આ બાબત સંપૂર્ણ રીતે કર્મચારીઓ પર છોડવામાં આવી છે કે તેમણે કંપનીમાંથી ક્યારે અને કેટલા કલાક, દિવસો કે મહિનાઓની રજા જોઇએ છે.
આ પાછળની ધારણા એવી છે કે જ્યારે આપ 100 ટકા સુવિધા અનુભવશો ત્યારે આપ રજા લઇ શકશો. જેના કારણે આપની ટીમનો દરેક પ્રોજેક્ટ અપ ટુ ડેટ રહેશે. આપની ગેરહાજરીને કારણે કંપનીને કોઇ પ્રકારનું નુકસાન ના જાય.
રિચાર્ડ બ્રાનસને આ પોલિસી યુકે અને યુએસમાં તેમની ઓફિસમાં અમલી બનાવી છે. કારણ કે ત્યાં રજાઓ લેવાના નિયમો બહુ કડક હોય છે. આ પોલિસી યુકે અને યુએસમાં સફળ થશે તો અન્ય જગ્યાઓ ઉપર પણ તેનો અમલ કરવામાં આવશે.
તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આપણે એ બાબત પર ધ્યાન આપવું જોઇએ કે લોકોએ કેટલું અને કેવું કામ કર્યું છે. એ નહીં કે લોકોએ કેટલા દિવસો કે કલાકો કામ કર્યું છે. અમારી નીતિ 9થી 5 કામ કરવાની નથી. તેવી જ રીતે રજાઓ લેવા માટે પણ પોલિસીની જરૂરિયાત નથી.
નોંધનીય છે કે આ બ્લોગ તેમની આવનારી પુસ્તકનો એક અંશ હશે. વર્જિન ગ્રુપ દુનિયાના 50થી વધારે દેશોમાં છે અને તેમાં 50,000થી વધારે લોકો કામ કરે છે.
રિચાર્ડ બ્રાનસનની કંપનીની શરૂઆત 1970માં શરૂ થઇ હતી. તે હાલ ટેલિકોમ, એરલાઇન્સ અને ફાઇનાન્શિયલ સેક્ટકમાં કાર્યરત છે.