સત્યમ કેસમાં રામલિંગ રાજુ અને અન્ય 4ને 14 વર્ષ માટે માર્કેટમાં પ્રવેશવા પર સેબીનો પ્રતિબંધ
મુંબઇ, 16 જુલાઇ : દેશના સૌથી મોટા કોર્પોરેટ કૌભાંડની સાડાપાંચ વર્ષની તપાસના અંતે સેબી (SEBI - Securities and Exchange Board of India)એ ભૂતપૂર્વ સત્યમ કમ્પ્યુટરના સ્થાપક બી. રામલિંગા રાજુ અને અન્ય ચાર દોષિતો પર મૂડી બજારોમાં આગામી 14 વર્ષ માટે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ સાથે તેમણે ગેરકાયદે મેળવેલા રૂપિયા 1,849 કરોડ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સેબીમાં આ નાણાં 45 દિવસમાં જમા કરાવવાના રહેશે.
સેબીએ આદેશ આપ્યો છે કે રાજુએ લખેલા પત્ર દ્વારા આ મહાકૌભાંડ બહાર આવ્યું તે દિવસથી એટલે કે 2009ની સાતમી જાન્યુઆરીથી વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. બી. રામલિંગા રાજુ ઉપરાંત તેમના ભાઇ બી. રામ રાજુ (સત્યમના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર), વડલામણિ શ્રીનિવાસ (ભૂતપૂર્વ સીએફઓ), જી. રાધાકૃષ્ણ (ભૂતપૂર્વ ઉપપ્રમુખ) અને વી. એસ. પ્રભાકર ગુપ્તા (આંતરિક ઑડિટના ભૂતપૂર્વ વડા) પર પણ માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
સેબીએ મંગળવાર એટલે કે 15 જુલાઇ, 2014ના રોજ આપેલા પોતાના 65 પાનાંના આદેશમાં જણાવ્યું હતું કે આ વ્યક્તિઓએ અંગત લાભ માટે કંપની અને રોકાણકારોને નુકસાન પહોંચાડીને નાણાકીય કૌભાંડ કર્યું હતું. બજારના નિયામકે પોતાને વટહુકમ દ્વારા મળેલા અધિકારનો ઉપયોગ કરીને આ આદેશ આપ્યો હતો. સેબીના આદેશમાં જણાવાયું હતું કે આ કૌભાંડ દ્વારા રોકાણકારોના હિતને અને બજારની પ્રામાણિકતાને નુકસાન પહોંચાડવામાં આવતું હતું.
સેબીના પૂર્ણકાલીન સભ્ય રાજીવકુમાર અગરવાલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે મને બજારમાં કડક સંદેશો આપવા અને અસરકારક શક્તિ પેદા કરવા માટે આ કેસમાં આકરાં પગલાં લેવાની જરૂર લાગે છે. સત્યમ કમ્પ્યુટરના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજુએ 2009ની સાતમી જાન્યુઆરીએ સેબીને મોકલેલા ઇમેલમાં આર્થિક ગેરરીતિની કબૂલાત કરી હતી.
આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું તે પછી સરકારે માહિતી તંત્રજ્ઞાન ક્ષેત્રની દેશની ચોથા ક્રમની સૌથી મોટી કંપનીના કર્મચારીઓ અને રોકાણકારોના હિતાર્થે કંપનીના લિલામનો આદેશ આપ્યો હતો. આ લિલામીમાં ટેક મહિન્દ્રાએ આ કંપની હસ્તગત કરી હતી અને તેનું નવું નામ મહિન્દ્રા સત્યમ રાખ્યું હતું અને છેવટે તેનું ટેક મહિન્દ્રામાં વિલીનીકરણ કરાયું હતું.