એસબીઆઇ ખાતાધારકોને ઝાટકો, બચત ખાતું, એફડી પર મળશે ઓછું વ્યાજ
ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બચત ખાતામાં જમા કરાયેલા 1 લાખ રૂપિયા પર બેંક 3.50 ટકાને બદલે 3.25 ટકા વ્યાજ ચૂકવશે.
ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બચત ખાતામાં જમા કરાયેલા 1 લાખ રૂપિયા પર બેંક 3.50 ટકાને બદલે 3.25 ટકા વ્યાજ ચૂકવશે. નવા વ્યાજ દર 1 નવેમ્બર 2019 થી લાગુ થશે. દેશની સૌથી મોટી સરકારી બેંક, એસબીઆઈના આ નિર્ણયની અસર લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે.
એફડી પર પણ વ્યાજ ઘટાડ્યું
એસબીઆઇએ રિટેલ ટર્મ ડિપોઝિટ (એફડી) અને બલ્ક ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો છે. બેંકે રિટેલ ડિપોઝિટ પર 0.10 ટકા અને બલ્ક ડિપોઝિટ પર 0.30 ટકા દરમાં ઘટાડો કર્યો છે. એટલે કે, રિટેલ ડિપોઝિટમાં 10 બેસિસ પોઇન્ટ અને બલ્ક ટર્મ ડિપોઝિટમાં 30 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ટર્મ ડિપોઝિટની મુદત 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી હશે. આ વ્યાજ દર 10 ઓક્ટોબરથી અમલમાં આવી રહ્યો છે.
એસબીઆઇ લોન કરી સસ્તી
એસબીઆઈએ હોમ, ઑટો અને પર્સનલ લોન પર એમસીએલઆરના દર ઘટાડવાની જાહેરાત કરી છે. એમસીએલઆરના દરોમાં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો 10 ઓક્ટોબરથી લાગુ થશે. એસબીઆઇએ જણાવ્યું છે કે, તહેવારના અવસરે ગ્રાહકોને ફાયદો પહોંચાડવા માટે બેંકે તમામ સમયગાળા માટે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે.
એસબીઆઈ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે
એસબીઆઈ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. હોમ અને ઑટો લોનમાં એસબીઆઈનો માર્કેટ શેર 35 અને 36 ટકા છે. દેશમાં બેંકની 22 હજારથી વધુ શાખાઓ છે. એસબીઆઈની અન્ય બેંકોની તુલનામાં ફેસબુક, યુ ટ્યુબ પર પણ ફોલોઅર્સ સૌથી વધુ છે.
આ પણ વાંચો: સોના મામલે ભારત ટોપ 10 દેશની યાદીમાં, જાણો કેટલું છે સોનું