એસબીઆઇ સહિત ત્રણ બેંકોએ સસ્તી કરી હોમ લોન, પીએમ મોદીના ભાષણની અસર
75 લાખ રુપિયા સુધીની હોમ લોન જે અત્યાર સુધી 9.1% વ્યાજ દરે મળતી હતી હવે તે લોન હવે 8.6% ના દરે મળશે...
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા રાષ્ટ્રજોગ સંદેશ બાદ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) સહિત ત્રણ બેંકોએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇએ હોમ લોનના વ્યાજ દરોને 9.10 થી ઘટાડીને 8.6 કરી દીધા છે. એસબીઆઇના આ ઘટાડા બાદ છેલ્લા 6 વર્ષમાં હોમ લોનના દરો સૌથી નીચલા સ્તર પર છે. એસબીઆઇએ હોમ લોનથી જોડાયેલા બેંચમાર્ક લેંડિંગ રેટ (એમસીએલાઅર) માં 0.9% સુધીના ઘટાડાનું એલાન કર્યુ છે. નવા દરો રવિવારથી લાગૂ થઇ ગયા છે. આ ઘટાડા બાદ એસબીઆઇનું એક વર્ષનું માર્જીનલ કોસ્ટ લેંડિંગ રેટ ( એમસીએલઆર) 8.90 થી ઘટીને 8% પર આવી ગયુ છે.
સસ્તા દરે લોન
એમસીએલઆરમાં ઘટાડાનો મતલબ છે કે નવા ગ્રાહકોને સસ્તા દરે લોન મળશે. જો આને સામાન્ય ભાષામાં સમજીએ તો 75 લાખ રુપિયા સુધીની હોમ લોન, જે અત્યાર સુધી 9.1% ના વ્યાજદર પર મળતી હતી. હવે તે લોન પર 8.6% ના દરથી વ્યાજ આપવાનું રહેશે. વ્યાજદરોમાં આ ઘટાડાની સીધી અસર તમારા ઇએમઆઇ પર પડશે. તમને જણાવી દઇએ કે જેમણે પહેલેથી હોમ લોન લીધેલી છે તેમને એક વર્ષ પૂરુ થયા બાદ જ આનો ફાયદો મળશે. આ ઉપરાંત જે લોકોએ એપ્રિલ, 2016 પહેલા લોન લીધી છે તેમણે પહેલાના દરો પ્રમાણે જ વ્યાજ ચૂકવવાનું રહેશે.
પીએનબી અને યુનિયન બેંકે પણ ઘટાડ્યા વ્યાજદરો
આ ઉપરાંત પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇંડિયાએ પણ હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બેંકે એક વર્ષનો એમસીએલઆર 0.7% ઘટાડીને 8.45% કરી દીધો છે. પીએનબી એમસીએલઆરમાં નવેમ્બરથી અત્યાર સુધી 0.85% સુધીનો ઘટાડો કરી ચૂક્યુ છે. વળી, યુનિયન બેંક ઓફ ઇંડિયાએ એમસીએલઆરને 0.65% ઘટાડીને 8.65% કરી દીધો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ ત્રણ બાદ બાકીની બેંકો પણ પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઇએ કે નવા વર્ષની પૂર્વ સંધ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે બેંકો નોટબંધી બાદ જમા થયેલા કેશનો ફાયદો સામાન્ય જનતાને આપે.