રૂપિયો નબળો પડતા ભારતીય કંપનીઓ જોબ કટના માર્ગે
ભારતમાં આયાત નિકાસ સાથે સંકળાયેલા ઘણા ઉદ્યોગો મંદીના વંટોળમાં લપેટાયા છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં તો છેલ્લા કેટલાક સમયથી નરમાઈનો માહોલ જોવા મળી જ રહ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે ફાર્મા અને આઈટી કંપનીઓ પણ નરમ પડતા રૂપિયાને કારણે મંદીની ઝપટમાં આવી રહ્યા છે.
બજાજ ઓટોના પ્લાન્ટમાં કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વેતન વધારાના મુદે્ હડતાળ કરવામાં આવી છે અને હવે આગામી ટૂંક સમયમાં આ વિસ્તારમાં આવેલા અન્ય 100 કંપનીઓના યુનિયન પણ આ હડતાળમાં સંકળાય તેવી શક્યતા છે. જો બજાજ ઓટોની હડતાળ લાંબી ચાલશે તો કંપનીના મેનેજમેન્ટ દ્વારા તે કર્મચારીઓની છટણી કરવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
તાજેતરમાં મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત 200 કર્મચારીઓને અનિશ્ચિત મુદ્તની રજા પર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ફાર્મા કંપની રેનબેક્સી તેની વિશ્વની બધી જ સાખાઓમાં થઈને કુલ 400 કર્મચારીની છટણી કરવાની છે.
સિમેન્સ કંપનીએ 200 કર્મચારીની છટણી કરી છે અને વધુ 400 કર્મચારીની છટણી કરે એવી શક્યતા છે. એચસીએલ ટેક્નોલોજી દ્વારા પણ 800 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. કંપનીએ 2011માં નિમણૂક કરેલા ગ્રેજ્યુએટમાં માત્ર 20 ટકા કર્મચારીઓને જ કામ પર રાખવામાં આવ્યા છે.