શું છે economic survey? જાણો તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
સંસદમાં બજેટ રજુ કરતા પહેલા ઈકોનોમિક સર્વે રજુ કરવાની પરંપરા છે. ઈકોનોમિક સર્વે એક વાર્ષિક રિપોર્ટ છે અને તેને બજેટ પહેલા રજુ કરાય છે અને ચર્ચા થાય છે.
ઈકોનોમિક સર્વે નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તૈયાર કરાયેલો વાર્ષિક અહેવાલ છે. જે અંતિમ નાણાકીય વર્ષની ભારતીય અર્થતંત્રનો ચિતાર આપે છે.

જણાવી દઈએ કે, ભારતનો ઈકોનોમિક સર્વે પ્રથમ વખત 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો અને તે સમયે તે મુખ્ય કેન્દ્રીય બજેટનો એક ભાગ હતો. 1964 પછી ઈકોનોમિક સર્વે અલગથી તૈયાર કરવામાં આવે છે અને મુખ્ય બજેટની રજૂઆતના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે.
શું છે ઈકોનોમિક સર્વે?
ઈકોનોમિક સર્વે છેલ્લા 12 મહિનામાં કૃષિ, સેવાઓ, ઉદ્યોગો, જાહેર નાણા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ પર નજીકથી નજર રાખે છે. તે નાણાકીય વર્ષ દરમિયાન નિકાસ, આયાત, વિદેશી વિનિમય અનામત અને નાણાં પુરવઠાની ઝાંખી આપે છે.
આ સર્વેક્ષણ સરકારની નીતિગત પહેલોને પ્રકાશિત કરે છે, મુખ્ય વિકાસ કાર્યક્રમો પરની કામગીરીનો સારાંશ આપે છે અને અર્થતંત્રની વૃદ્ધિની સંભાવનાઓ દર્શાવે છે.
રિપોર્ટમાં ભારતના જીડીપી વૃદ્ધિ, ફુગાવાનો દર અને પ્રક્ષેપણ, વિદેશી વિનિમય અનામત અને વેપાર ખાધનો અંદાજ પણ આપવામાં આવે છે. વાર્ષિક અહેવાલમાં આગળના મુખ્ય પડકારો તેમજ તેનો સામનો કરવાના પગલાંની યાદી આપવામાં આવે છે.
આ બજેટની રજૂઆત માટે આધાર તૈયાર કરે છે. ઈકોનોમિક સર્વે નીતિ નિર્માતાઓ માટે આર્થિક વૃદ્ધિ માટેના મુખ્ય અવરોધોને ઓળખવામાં માર્ગદર્શક તરીકે પણ કામ કરે છે.












Click it and Unblock the Notifications
