મહેરબાની કરીને બોલો કે 'હા, હું કોરોના સંક્રમિત છુ', પરિવારને બચાવો, દેશને બચાવો
આવી સ્થિતિમાં પણ એવા ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે જેમાં લોકો પોતે કોરોના સંક્રમિત હોવાનુ છૂપાવી રહ્યા છે.
અમદાવાદઃ કોરોનાની બીજી લહેર દેશમાં ઘરે ઘરે તાંડવ કરીને પોતાનુ રૌદ્ર રુપ બતાવી રહી છે. છેલ્લા સતત બે દિવસથી ભારતમાં ચાર લાખથી વધુ દૈનિક કેસો સામે આવી રહ્યા છે. મોતના આંકડાથી લોકોના ભયનો માહોલ છે. બીજી લહેર ક્યારે પૂરી થશે તેના કોઈ એંધાણ નથી ત્યાં તો વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેર માટે ચેતવણી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્તિ કરીને કહ્યુ કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે તો શું કરશો? આવી સ્થિતિમાં પણ એવા ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે જેમાં લોકો પોતે કોરોના સંક્રમિત હોવાનુ છૂપાવી રહ્યા છે.
એક યુવકે આખા ગામને સંક્રમિત કર્યુ
તાજેતરમાં જ મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોના સંક્રમિત એક યુવક લગ્ન સમારંભમાં શામેલ થયો. બાદમાં લોકોની તબિયત બગડતા તપાસ કરાવી તો 60માંથી 40 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા. હાલમાં આખા ગામને સીલ કરી દેવામાં આવ્યુ છે અને બાકીના લોકોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં લગ્ન સમારંભમાં 10 લોકોને જ શામેલ થવાની મંજૂરી છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં તો એક મહિલાએ પોતાના પતિનુ કોવિડ-19 સંક્રમણના કારણે મોત થયા બાદ પોતાના બંને બાળકો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યુ. જો કે સમયસૂચકતાથી તેમને બચાવી લેવાયા. મહિલાઓએ જણાવ્યુ કે તેને ડર હતો કે હવે ગામમા તેની સાથે અછૂતો જેવો વ્યવહાર કરવામાં આવશે. કોઈ તેમની મદદ નહિ કરે અને તેમનો બહિષ્કાર કરશે.
ડર છે કે લોકો તેમને અછૂત ગણશે.
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને જાગૃતિના અભાવે કોરોના સંક્રમિત હોવાની માહિતી છૂપાવવાના કેસ વધુ બને છે. જો કે, આના માટે બીજા પણ ઘણા પરિબળો જવાબદાર છે. એક ગ્રામજનનુ કહેવુ છે કે જો તે કોરોના પૉઝિટીવ આવે તો આખા પરિવારને ક્વૉરંટાઈન થવુ પડે એનો અર્થ એટલે કે એટલા વધુ દિવસ તેમણે કામ વિનાના અને ભોજન વિના રહેવુ પડે. ગામડામાં તો લોકો નથી માસ્ક પહેરતા કે નથી સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરતા. તેઓ છૂપાવે છે કે તે બિમાર છે. તેમને ડર છે કે લોકો તેમને અછૂત ગણશે. તેમનો બહિષ્કાર કરશે. કોઈ તેમની મદદ કરશે કે નહિ. કોઈની મદદ નહિ મળે તો તેમનુ શું થશે.
હવે સમય આવી ગયો છે ઘરમાં પણ માસ્ક પહેરવાનો, જાણો કેમ?
આવા જ લોકો છેવટે સુપર સ્પ્રેડર બને છે
સાયકોલોજિસ્ટના મત મુજબ ગુસ્સો, શરમ, દુઃખ, પેનિક અને મુંઝવણ જેવી લાગણીઓ લોકોને કોરોના સંક્રમિત હોવાનુ જાહેર કરતા રોકે છે. તેમને ડર હોય છે કે લોકો તેમને જજ કરશે. રિકવર થયા પછી પણ તેમના પર લેબલ લાગેલુ રહેશે. બીજુ સૌથી મોટુ પરિબળ આર્થિક તંગી પણ છે જેના કારણે કર્મચારીઓ અને માલિકો પણ આ હકીકત સ્વીકારવાનુ ટાળે છે. અમુક નોકરીઓમાં તો લોકોને સીક લીવ પણ મળતી નથી હોતી. જેના કારણે લોકો પોતાની માંદગી છૂપાવે છે અને આવા જ લોકો છેવટે સુપર સ્પ્રેડર બને છે. લોકએ એ સમજવાની જરૂર છે કે કોરોના વાયરસથી સંક્રમિત થવુ એ નાનમ અનુભવવાની વાત નથી. ગમે તેટલી સાવચેતી છતાં તે કોઈને પણ થઈ શકે છે. કોઈ પણ પ્રકારની ગંભીર સામાજિક કે આર્થિક મુશ્કેલીથી પણ ઘાતક સાબિત થઈ શકે છે કોરોના વાયરસ. માટે મહેરબાની કરીને બોલો, 'હા, હું કોરોના સંક્રમિત છુ', પરિવારને બચાવો, દેશને બચાવો.