રાજકારણ માટે આ લોકોએ છોડી હાઇપ્રોફાઇલ જોબ
સામાન્ય રીતે રાજકારણમાં એ લોકો વધારે હોય છે, જેમણે કાં તો ઉચ્ચ અભ્યાસ ના કર્યો હોય અથવા તો ક્યાંય ઉચ્ચ હોદ્દો ધરાવતી નોકરી ના કરી હોય, જો તમે પણ આવું જ વિચારતા હોવ તો, ખોટું વિચારો છો, કારણ કે ભારતીય રાજકારણની એક બાજું આ છે તો બીજી બાજું શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ પદને ત્યજીને રાજકારણમાં આવેલા લોકોની પણ છે.
એવા લોકો કે જેમણે પોતાની હાઇપ્રોફાઇલ જોબને છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું હોય અથવા તો સામાજિક કાર્ય કરવા અર્થે પોતાની શાનદાર પ્રતિષ્ઠિત જોબને છોડી હોય, જેમાં જયરામ રમેશથી માંડીને અરવિંદ કેજરીવાલ સુધીના લોકો છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં ભારતના કયા કયા નેતાઓ આવે છે.
કેપ્ટન જીઆર ગોપીનાથ
કેપ્ટન જીઆર ગોપીનાથ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઇનના શોધક છે. એર ડેક્કનને તેમણે 2003માં લોન્ચ કરી હતી. તેઓ ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન, લેખક અને હવે રાજકારણી છે. ગોપીનાથે 2009માં બેંગ્લોરમાંથી અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેઓ હારી ગયા હતા.
રાજીવ શુક્લ
સંસદીય બાબતો અને યોજના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી રાજીવ શુક્લ રાજકારણમાં આવ્યા તેના પહેલાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરી ચુકેલા છે. તેઓ હાલ કોંગ્રેસમાં છે અને આઇપીએલના ચેરમને છે, આ ઉપરાંત તેઓ પહેલાં પત્રકાર, રાજકીય કોમેન્ટેટર અને ટેલિવિઝન હોસ્ટ હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ઉત્તર પ્રદેશના જાણીતા સમાચારપત્રમાંથી કરી હતી. ત્યારબાદ તેમણે નોર્થન ઇન્ડિયા પત્રિકા, જનસત્તા, દૈનિક જાગરણ રવિવાર સહિતના મીડિયાગૃહોમાં કામ કર્યું છે, 2000માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા.
અમિત મિત્રા
અમિત મિત્રા, ઇન્ડિયન ઇકોનોમિસ્ટ અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સભ્ય છે. આ પહેલા તેઓ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી જનરલ હતા. આ ઉપરાંત તેમણે આઇઆઇટીમાં કેટલાક લેક્ચર પણ લીધા છે. તેઓ હાલ પશ્ચિમ બંગાળના નાણામંત્રી છે.
અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ એક જાણીતા સામાજિક કાર્યકર્તા છે. આ પહેલા તેઓ ભારતીય રેવન્યુમાં જોઇન્ટ કમિશ્નર તરીકે કામ કરતા હતા, આ ઉપરાંત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. આ ઉપરાંત દેશમાં આરટીઆઇ લાગુ કરાવવા માટે પણ તેઓ જાણીતા છે, હાલ તેઓ રાજકારણમાં સક્રિય છે અને વિવિધ રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને ખુલ્લાં પાડી રહ્યાં છે. તેમના દ્વારા આમ આદમી પાર્ટીને લોન્ચ કરવામાં આવી છે, જે આગામી દિલ્હી વિધાનસભામાં ચૂંટણી લડવાની છે.
દિનેશ ત્રિવેદી
દિનેશ ત્રિવેદી, એક રાજકારણી છે અને તેઓ ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસના સભ્ય છે. તેમણે 1974માં એમબીએ કર્યું હતું અને તેઓએ થોડાક સમય માટે શિકાગો સ્થિત કંપની કોલ્ડ ડેટેક્સમાં કામ કરતા હતા અને 1984માં તેમણે એર ફ્રાઇટ ફર્મ માટે કોલકતામાં કામ કર્યું હતું. તેઓ પૂર્વ કેન્દ્રિય રેલવે મંત્રી હતા.
નિર્મલા સિતારામન
નિર્મલા સિતારામન હાલ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેમણે જવાહરલાલ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં એમફીલ કર્યું છે. રાજકારણમાં આવ્યા પહેલા તેમણે પ્રાઇસવોટરહાઉસ કૂપર્સમાં સિનિયર મેનેજર તરીકે કામ કર્યું છે અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં પણ થોડોક સમય માટે પોતાની સેવા આપી હતી.
ડો. શશિ થરૂર
ડો. શશિ થરૂરે અનેક પ્રકારે સિદ્ધિઓ મેળવી છે, તેઓ એક લેખ, સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપર, રેફ્યુઝી વર્કર, હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ અને આજે તેઓ એક સફળ રાજકારણી છે. હાલ તેઓ હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટમાં રાજ્યકક્ષાના મંત્રી છે.
મલ્લિકા સારાભાઇ
મલ્લિકા સારાભાઇ એક ટેલેન્ટેડ પર્સનાલિટી છે. તેઓ કુચિપુડી અને ભારતનાટ્યમ નૃત્ય માટે જાણીતા છે, આ ઉપરાંત તેમણે એક્ટિંગ, રાઇટિંગ અને પબ્લિશિંગ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ એક સામાજિક કાર્યકર્તા પણ છે. તેમણે 2009માં ગાંધીનગર ખાતેથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.
મીરા સાન્યાલ
મીરા સાન્યાલ ભારતના ટોચના બેન્કર અને એબીએન આમરો બેન્કના પૂર્વ કન્ટ્રી હેડ હતા. તેમણે 2009માં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમની સામે બે મજબૂક નેતા કોંગ્રેસના મિલિંદ દેઓરા અને શિવસેનાના મોહન રાવાલે હતા.
જયરામ રમેશ
જયરામ રમેશ એક ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી તરીકે જાણીતા છે. વ્યવસાયે તેઓ એક એન્જીનીયર હતા, તેઓ વિશ્વ બેન્કના કર્મચારી પણ હતા. તેઓ કોંગ્રેસના સભ્ય અને યુપીએમાં મંત્રી છે.