જાણો કોણ છે ખૂંખાર આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા
નવી દિલ્હી, 17 ઓગષ્ટ: લશ્કર-એ-તોઇબાના ટોચના આતંકવાદી, અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમના ખાસમખાસ, બોમ્બ બનાવવામાં માહિર અને વિસ્ફોટની લગભગ 40 ઘટનાઓને અંજામ આપનાર અબ્દુલ કરીમ ટુંડાને દિલ્હી પોલીસે ભારત-નેપાળ બોર્ડરથી ધરપકડ કરી લીધી છે. ટુંડાની ધરપકડ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેની પૂછપરછમાં મોસ્ટવોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ વિશે જાણકારી મળી શકે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના કમિશ્નર એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે અબ્દુલ કરીમ ટુંડાની ભારત-નેપાળ બોર્ડર પરથી શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે અને તેને શનિવારે દિલ્હીની એક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
બોમ્બ એક્સપર્ટ અબ્દુલ કરીમ ટુંડાની ઉંમર 70 વર્ષની છે અને તે 21 આતંકવાદી મામલાઓમાં વોન્ટેડ હતો. 20 વર્ષની ફરારી દરમિયાન તે કેટલાક દેશોમાં રહ્યો. 1993ના બોમ્બ બ્લાસ્ટ બાદ તે બાંગ્લાદેશ પહોંચ્યો અને ત્યારબાદ પાકિસ્તાન પહોંચી ગયો. કરાચી અને લાહોરમાં તેને રહેવાના ઠેકાણાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. તે આતંકવાદી ટ્રેનિંગ કેમ્પોમાં જતો હતો અને નવા આતંકવાદીને ટ્રેનિંગ આપતો હતો. જ્યારે તેના આકા તેને કંઇપણ સલાહ આપતાં તો તે નેપાળ, બાંગ્લાદેશ કે કોઇ અન્ય દેશ જતો અને અસાઇનમેન્ટ પુરું કરીને લાહોર અથવા કરાંચી ફરતો હતો.
દિલ્હીમાં આતંકી હુમલાની ધમકી બાદ અબ્દુલ કરીમ ટુંડાની ધરપકડ એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે ક્યાંક અબ્દુલ કરીમ ટુંડા દિલ્હીને હચમચાવવા માટે નેપાળના રસ્તેથી ભારત તો નહોતો આવી રહ્યોને, જો કે આ વાત દિલ્હી પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદના માધ્યમથી જણાવશે ત્યાં સુધી આવો અમે તમને અબ્દુલ કરીમ ટુંડાની આગળની અને પાછળની હિસ્ટ્રી વિશે જણાવીએ. આમ તો અબ્દુલ કરીમ ટુંડાની પ્રથમ ફાઇલ ગાજિયાબાદથી ખુલી હતી.

પિલખુવાનો રહેવાસી છે
દિલ્હીથી લગભગ 70 કિલોમીટર દૂર પિલખુવાના રહેવાસી અબ્દુલ કરીબ ટુંડાનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું જ્યારે 1993માં મુંબઇમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા. 26/11 મુંબઇ હુમલા બાદ પાકિસ્તાન સરકારને ભારત દ્વારા સોંપવામાં આવેલી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના લિસ્ટમાં અબ્દુલ કરીમ ટુંડાનું નામ 15મા નંબરે હતું. 'બોમ્બ ગુરૂ' ટુંડાને હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાઓમાં બોલવામાં હોશિયાર માનવામાં આવે છે. ડિસેમ્બર 1993માં મુંબઇ સહિત દેશના વિભિન્ન ભાગોમાં કેટલાક ભાગોમાં ઘણી ટ્રેનોમાં વિસ્ફોટ થયા હતા. જાણવા મળ્યું કે વિસ્ફોટોનો માસ્ટર માઇન્ડ સઇદ અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડા છે.
ત્યારબાદ દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોએ અશોકા નગરમાં રેડ પાડી. રેડ પહેલાં ટુંડા ફરાર થઇ ગયો. તેના ઘરમાં સુરક્ષા એજન્સીઓએ મોટી માત્રામાં વિસ્ફોટક, ડેટોનેટર, પાકમાં બનેલા હથિયારો અને ઉર્દૂમાં લખેલા આપત્તિજનક દસ્તાવેજ મળી આવ્યા. 1994માં ગાજિયાદબાદ રેલવે સ્ટેશનની પાસે છત્તીસગઢ એક્સપ્રેસમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 19 લોકોના મોત નિપજ્યાં હતા.
આ વિસ્ફોટમાં પણ અબ્દુલ કરીમ ટુંડાનું નામ સામે આવ્યું. અબ્દુલ કરીમ ટુંડા વિશે સૂચાનોના આધારે 1982માં અચાનક તે પત્ની જરીનાને છોડીને કેટલાક મહિના સુધી ઘરથી ગાયબ રહ્યો. પછી તે જ્યારે પરત ફર્યો તો ગુજરાતથી મુમતાજ નામની 18 વર્ષની યુવતી સાથે નિકાહ કરીને લાવ્યો હતો, જ્યારે તેની ઉંમર 42 વર્ષની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અબ્દુલ કરીમનું નામ ટુંડા ન હતું, પરંતુ એક બોમ્બ બ્લાસ્ટમાં તેનો ડાબો પગ ખરાબ થઇ ગયો હતો. પગ ખરાબ થઇ જતાં તેના સાથીઓ તેને ટુંડા કહેવા લાગ્યા.












Click it and Unblock the Notifications
