જાણો: સાધારણ તાવ છે કે પછી ડેન્ગ્યુનો તાવ
દેશમાં લખનઉથી લઇને બેંગ્લોર સુધી અનેક રાજ્યોમાં ડેન્ગ્યુનો કહેર વર્તાઇ રહ્યો છે. કેટલાક શહેરોમાંથી એવી ખબર મળી રહી છે કે કેટલાક ડૉક્ટર્સ સાધારણ તાવને પણ ડેન્ગ્યુનો તાવ કહીને તગડા રૂપિયા કમાઇ રહ્યાં છે. તેવામાં તમને ડેન્ગ્યુ અને સાધારણ તાવ વચ્ચેનો તફાવત ચોક્કસથી ખ્યાલ હોવો જોઈએ જેથી જો ડેન્ગ્યુના લક્ષણો હોય તો તમે પાણી પહેલા પાળ બાંધી તેનો ઇલાજ કરાવી શકો અને જો સામાન્ય તાવ હોય તો લેભાગુ ડૉક્ટર્સથી બચી શકો.
ખુબ ઓછા લોકો જાણે છે કે સાધારણ તાવ બિમારી નથી હોતો. હકીકત તો એ છેકે સામાન્ય તાવમાં જ્યારે શરીરનું તાપમાન વધે છે, ત્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે.
આવો જાણીએ કે શું તફાવત છે સાધારણ તાવમાં અને ડેન્ગ્યુના તાવમાં
રોગનો પ્રકાર
સાધારણ તાવ હવામાન બદલાવા અથવા અન્ય કારણોના કારણે ક્યારેક આવે છે. તે ફેલાતો નથી. જ્યારે ડેન્ગ્યુનો તાવ મચ્છર કરડવાથી આવે છે અને અન્ય લોકોમાં સંક્રમીત થાય છે.
ક્યારે ફેલાય છે
સામાન્ય તાવ ફેલાવાની કોઇ મોસમ નથી હોતી. પરંતુ ડેન્ગ્યુ વરસાદ બાદ મચ્છરમાં વધારો થતા તરત જ ફેલાય છે.
શરીરનું તાપમાન
સામાન્ય તાવમાં શરીરનું તાપમાન 100થી લઈને ક્યારેક 103 સુધી પણ હોઇ શકે છે. પરંતુ ડેન્ગ્યુના તાવમાં શરીરનું તાપમાન એકદમ જ 103 ડિગ્રીથી લઇને 105 સુધી જતુ હોય છે.
સામાન્ય લક્ષણ
સામાન્ય તાવમાં ઠંડી લાગે, ધ્રુજારી થાય, છીક આવે, ઉધરસ વગેરે થાય છે. તાવ ઉતર્યા બાદ પસીનો પણ છુટે છે, પરંતુ ડેન્ગ્યુના તાવમાં માથામાં સખત દુખાવો થાય છે. આંખોમાં દર્દ થાય છે. સાંધામાં અને માંસપેશીઓમાં પણ દર્દ થાય છે. ખાવાનું મન નથી થતું. ઉલ્ટી થાય છે. શરીર પર ચકામા પડી જાય છે. ઘણી વાર તાવ આવવાના ત્રણ દિવસ બાદ ચકામા પડે છે.
કેવી રીતે ફેલાય છે
સામાન્ય તાવ શરીરની એક પ્રક્રિયા છે, જેમાં મગજનું તાપમાન વધે છે. ત્યારે શરીર તેને બેલેન્સ કરવા માટે ખુદ ગરમ થવા લાગે છે. જો કે તાવ આવવાના અન્ય કારણો જેવા કે ન્યૂમોનિયા, ફ્લુ કે કોઇ ઇન્ફેક્શન પણ હોઇ શકે છે. જ્યારે ડેન્ગ્યુ વાઇરસ ડેન-1, ડેન-2, ડેન-3, ડેન-4, વગેરેના કારણે થાય છે. આ તાવ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં મચ્છર કરડવાથી જ પહોંચે છે.
દુનિયામાં ક્યા જોવા મળે છે
સામાન્ય તાવ આખી દુનિયામાં લોકોને થાય છે. જ્યારે ડેન્ગ્યુ વિશેષ કરીને આફ્રિકા, સાઉથ ઇસ્ટ એશિયા, ચીન, ભારત, મીડલ ઇસ્ટ, સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સેન્ટ્રલ પેસેફિકના દેશોમાં થાય છે.
કેવી રીતે ખબર પડે છે
જો તાવ બેથી ત્રણ કલાક આરામ કરવાથી ઉતરી જાય તો સામાન્ય તાવ છે. સામાન્ય તાવ દવાના પહેલા ડૉઝમાં જ ઉતરવા લાગે છે, અસામાન્ય તાવમાં સમય લે છે. જ્યારે ડેન્ગ્યુની જાણ લોહીની તપાસથી થાય છે. જો લોહીમાં ડેન્ગ્યુનો વાઇરસ હોય તો તેનો તુરંત જ ઉપચાર કરવો જોઈએ. હા, ડેન્ગ્યુનું કોઇ વેક્સીન નથી પણ તેની સારવાર ચોક્કસ છે.
રીસ્ક-ખતરો
સામાન્ય તાવમાં ડીહાઇડ્રેશનનો ખતરો રહે છે. સામાન્ય તાવ દરમ્યાન ઘણી વખત પેટમાં ઇન્ફેક્શન પણ થઇ જાય છે. ઝાડા-ઉલ્ટી પણ થઈ જતા હોય છે. જ્યારે ડેન્ગ્યુના તાવમાં પ્લેટલેટ્સ ઘટી જવાનો ખતરો રહેતો હોય છે. જે મોટાભાગના કેસમાં ઘટી જાય છે.
ભયાનક સ્ટેજ
સામાન્ય તાવ 103 ડિગ્રી સુધી થઇ જાય તો પણ ગભરાવવાની જરૂર નથી. પરંતુ જો 105થી વધી જાય તો મોટો ખતરો છે. 106 તાવ થવાથી મગજની નસો ક્ષતિગ્રસ્ત થવાનો ખતરો છે. જેનાથી દર્દીનું મગજ ડેડ થઈ જાય છે. તેવામાં વ્યક્તિ કોમામાં પણ સરી પડે છે. ક્યારેક મોતને પણ ભેટે છે. જ્યારે ડેન્ગ્યુનો તાવ શરીર પર હાવી થાય છે, ત્યારે પ્લેટલેટમાં ઘટાડો થવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ ધવ્સ્ત થઈ જાય છે. ક્યારેક દર્દી હીમોગ્રાફીક તાવના કારણે મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે મોતને ભેટે છે.