માસિક ધર્મમાં વિલંબને ગર્ભાવસ્થા ન સમજવી
ઘણી વખત એવું બનતુ હોય છે કે માસિક ધર્મમાં વિલંબ થવાને પ્રેગનેન્સી માની લેવામાં આવે છે. માસિક ધર્મમાં વિલંબ થવો અથવા તો ન થવા પાછળના અનેક કારણ હોઈ શકે છે. જો પાઠ્યપુસ્તકોનું માનીએ તો માસિક ધર્મનું ચક્ર 28 દિવસનું હોય છે. જે મોટાભાગે છોકરીઓમાં 13 વર્ષની ઉંમરે શરૂ થઈ જાય છે. જે 1થી 7 દિવસ સુધી ચાલે છે.
ખાસ કરીને નાની ઉંમરની છોકરી અને યુવતીઓમાં આ સમસ્યા નથી જોવા મળતી પરંતુ મહિલાઓ અને વયસ્ક મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે.
અહીં કેટલીક વાતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જેના પરથી મહિલાઓ એ વાત પર સંમત થઈ શકશે કે માસિક ધર્મમાં વિલંબ થવો એટલે માત્ર પ્રેગનેન્સી જ હોય એવું નથી હોતું. માસિક ધર્મમાં વિલંબને મુખત્વે ત્રણ રીતે જોઈ શકાય છે. પ્રાથમિક માસિક અવરોધ, સેકેન્ડરી માસિક અવરોધ, અને ઓલિગોમનેરિયા. પ્રાથમિક માસિક અવરોધ ખાસ કરીને 13થી 14 વર્ષની ઉંમરની છોકરીઓમાં જોવા મળે છે. જો સેકેન્ડરી માસિક અવરોધની વાત કરીએ તો પહેલા સામાન્ય ચક્ર હોય છે, અને ત્યારબાદ માસિક ધર્મમાં વિલંબની સ્થિતિ જોવા મળે છે. તેનો અર્થ પ્રેગનેન્સી હોય શકે છે, પણ તે જ અર્થ હોય તેવું જરૂરી નથી.
વાત કરીએ ઓલિગોમનેરિયાની, તો આ એક મેડિકલ અવસ્થા છે. જેમાં મહિલાઓ વર્ષમાં 12-14 માસિક ધર્મની જગ્યાએ માત્ર 8 કે 8થી ઓછી વખત જ માસિક ધર્મનો અનુભવ કરે છે.
તણાવ
તણાવ અને ચિંતા માસિક ધર્મમાં વિલંબ માટે સૌથી મોટું અને કોમન કારણ છે. ઘણી મહિલાઓમાં અંડાશય સંબંધિત સમસ્યાઓને કારણે જેવી કે પોલીસ્ટીક અંડાશય સિડ્રોમના કારણે પણ આવો વિલંબ જોવા મળતો હોય છે.
વજન
વધુ વજન કે ઓછું વજન જેવી સમસ્યાઓને કારણે પણ મહિલાઓમાં આ સમસ્યા જોવા મળતી હોય છે.
સારવાર
ડોક્ટર દ્વારા લાંબા સમય માટે લખી આપવામાં આવતી દવાઓની સાઈડ ઈફેક્ટ અંગે પણ પૂછી લેવું કે માસિક ધર્મમાં વિલંબ દવાઓની આડ અસરને કારણે તો નથીને.
ગર્ભ નિરોધક દવાઓ
ગર્ભ નિરોધક ગોળીઓની અલગ અલગ સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. જેમ કે ઉલ્ટી થવી, થાક લાગવો, વજન વધવું વગેરે. વધુ પડતી ગર્ભ નિરોધક ગોળીઓ પણ માસિક ધર્મમાં વિલંબનું કારણ હોઈ શકે છે.
સ્તનપાન
સ્તનપાન કરાવતી મહિલાઓ પણ સામાન્ય રીતે સ્તપાન ચક્રને લઈને આ સમસ્યાનો સામનો કરતી હોય છે.
હોર્મોન્સ
શરીરમાં હોર્મોન ચેન્જ થવાને કારણે પણ મહિલાઓમાં આ સમસ્યા જોવા મળી હોય છે, તેનો અર્થ પ્રેગનેન્સી નથી થતો.
ખોરાક અને વ્યાયામ
કેટલાક કઠોર વ્યાયામ અને ખોરાક પણ મહિલાઓના માસિક ધર્મને અસર કરી શકે છે. જેના કારણે પણ મહિલાઓએ માસિક ધર્મમાં વિલંબનો સામનો કરવો પડે છે.
પિટ્યુટરી અથવા થાઈરોડ
કેટલીક વાર ડોક્ટર્સ અલ્સર, પિટ્યુટરી અથવા તો થાઈરોડ ગ્રંથિના વિકાસને પણ આ સમસ્યા સાથે જોડી દે છે.
રજોનિવૃત્તિ
રજો ધર્મમાં નિવૃત્તિના સમયે પણ મહિલાઓ માસિક ધર્મમાં વિલંબની સમસ્યાનો સામનો કરે છે. માસિક ધર્મમાં વિલંબનો સમયગાળો 3થી 12 મહિનાનો હોઈ શકે છે.
સફર
દિનચર્યામાં અચાનક બદલાવ, લાંબી યાત્રા, અને અનિંદ્રાને કારણે પણ મહિલાઓમાં માસિક ધર્મમાં વિલંબની સમસ્યા જોવા મળે છે.