World Diabetes Day : જાણો ડાયાબિટીસ અંગેના ભ્રામક ખ્યાલો અને તેની હકીકત
છેલ્લા એક દાયકા દરમિયાન ડાયાબિટીસના દર્દીમાં મોટાપાયે વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસની સમસ્યા બાળકોથી લઇને વૃદ્ધ સુધી તમામ વયજૂથમાં જોવા મળે છે.
World Diabetes Day : છેલ્લા એક દાયકા દરમિયાન ડાયાબિટીસના દર્દીમાં મોટાપાયે વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસની સમસ્યા બાળકોથી લઇને વૃદ્ધ સુધી તમામ વયજૂથમાં જોવા મળે છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર ડાયાબિટીસને કરાણે શરીરમાં બીજી અન્ય ગંભીર બિમારીઓનું કારણ પણ બની શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ડાયાબિટીસના દર્દીઓને સાવચેતીના ઉપાયો કરવા જોઇએ. ડાયાબિટીસ થવાના ઘણા કારણો હોય શકે છે, જેમ કે, આનુવંશિક, ખોરાક, ખરાબ જીવનશૈલી વગેરે. આ બાબતો અંગે થોડી સાવધાની વર્તવાથી ડાયાબિટીસથી બચી શકાય છે.
વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી
સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના વધતા જોખમ વિશે લોકોને જાગૃત કરવા અને તેને રોકવા માટે જરૂરી સાવચેતીઓ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ડૉક્ટર્સનું કહેવું છે કે, દેશ અને દુનિયામાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે એવી આશંકા સેવાઇ રહી છે કે, આગામી સમયમાં લગભગ દર બીજા ઘરમાં એક વ્યક્તિ ડાયાબિટીસનો કેસ જોવા મળશે, જોકે કમનસીબી એ છે કે, ડાયાબિટીસ વિશે હજુ પણ લોકોમાં યોગ્ય માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે.
લોકો પાસે યોગ્ય માહિતી હોવી ખુબ જ જરૂરી
આ સાથે ડાયાબિટીસ અંગે એવી ઘણી માન્યતાઓ છે, જે આપણે વર્ષોથી માનતા આવ્યા છીએ, આ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં સમસ્યાઓ ઊભી કરી શકે છે.
આ ગંભીર બીમારીથી સુરક્ષિત રહેવા માટે લોકો પાસે યોગ્ય માહિતી હોવી ખુબ જ જરૂરી છે.તો આવો આપણે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે જાણીએ એવી કેટલીક માન્યતાઓ વિશે જેને મોટા ભાગના લોકો સાચી માનીને અનુસરી રહ્યા છે.
માન્યતા 1 : પરિવારમાં કોઈને ડાયાબિટીસ ન હોય, તો તેનું જોખમ નથી
આ અંગે ડૉક્ટર્સ જણાવે છે કે, આ વાત સાચી છે કે, ડાયાબિટીસનું આનુવંશિક જોખમ વધારે છે, એટલે કે જો તમારા માતા-પિતા કે ભાઈ-બહેનમાંથી કોઈને ડાયાબિટીસ છે, તો તમારામાં પણ તે થવાનું જોખમ વધી જાય છે.
જોકે, જો પરિવારમાં કોઈને પણ ડાયાબિટીસ ન હોય તો પણ અમુક પરિબળોને લીધે તમને ડાયાબિટીસ થઈ શકે છે.
ખરાબ જીવનશૈલી અને આહારમાં વિક્ષેપ, શારીરિક નિષ્ક્રિયતા અને સ્થૂળતા જેવી પરિસ્થિતિઓમાં તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધારી શકે છે, આ પછી ભલે તમારા પરિવારમાં કોઇને પણ ડાયાબિટીસ ન હોય.
માન્યતા 2 : ડાયાબિટીસના દર્દીઓને ચોખા અને બટાકા ન ખાવા જોઈએ
ડાયાબિટીસને લઈને ખાણી-પીણીને લગતી અનેક પ્રકારની ભ્રામક માન્યતાઓ જોવા મળી રહી છે, તેમાંથી એક એ છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ચોખા અને બટાકા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. મૂળભૂત રીતે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે, કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ સુગર લેવલ વધારે છે.
આ અંગે આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છે કે, ડાયાબિટીસમાં પણ કાર્બોહાઇડ્રેટ્સને સંપૂર્ણપણે ટાળવું યોગ્ય નથી.
કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ઊર્જા પૂરી પાડવા માટે જરૂરી છે, તેથી તેને ટાળવાથી તમે થાકેલા અને નબળા પડી શકો છો. ફક્ત આ વસ્તુઓનું મધ્યમ સેવન ધ્યાનમાં રાખો.
ડાયાબિટીસમાં લો-કાર્બોહાઇડ્રેટ આહાર ફાયદાકારક સાબિત થઇ શકે છે.
માન્યતા 3 : જ્યારે સુગર કંટ્રોલમાં હોય, ત્યારે ડાયાબિટીસની દવાઓ લેવાની જરૂર નથી
ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓ ઘણીવાર આ ભૂલ કરે છે, તેઓ બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં આવતાની સાથે જ ડાયાબિટીસનીગોળીઓ અને ઇન્સ્યુલિન પોતાની રીતે (ડૉક્ટરની સલાહ વગર) લેવાનું બંધ કરી દે છે.
ડૉક્ટરો આ આદતને ખૂબ જ ગંભીર અને નુકસાનકારક માને છે. ડૉક્ટરો કહે છે કે, ડાયાબિટીસનો સંપૂર્ણ ઈલાજ થઈ શકતો નથી, તેને માત્ર દવાઓ અને અન્ય માધ્યમોથી જ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી શકાય છે.
તમારા પોતાની મેળે દવાઓ બંધ કરવાથી સુગર લેવલમાં અચાનક વધારો થવાનું જોખમ રહે છે, જે ગંભીર આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે અને મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યોર તરફ દોરી શકે છે.
જેથી તબીબી સલાહ વિના દવાઓનું સેવન કરશો નહીં, કે ચાલી રહેલી દવાઓ-ઇન્સ્યુલિન પણ બંધ કરશો નહીં.
માન્યતા 4 : ડાયાબિટીસ એ માત્ર ચયાપચય (મેટાબોલિસમ) અને લોહીની સમસ્યા છે
ચોક્કસ ડાયાબિટીસ એ ચયાપચય (મેટાબોલિસમ)માં ખલેલને કારણે થતી સમસ્યા છે, જેમાં લોહીમાં સર્કરા(સુગર)નું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે, પરંતુ તે શરીરના અન્ય ભાગોની સમસ્યાઓ પણ વધારે છે.
ડાયાબિટીસથી પીડિત લોકોમાં આંખો, કિડની, લીવર, ચેતાતંત્ર જેવા રોગોનું જોખમ ઘણું વધારે છે.
સતત અનિયંત્રિત બ્લડ સુગર લેવલ ડાયાબિટીક કીટોએસિડોસિસ અને ડાયાબિટીક ફુટ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે, જેને રોકવા માટે પ્રયાસ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.