જિયા ખાન આત્મહત્યા કેસ : આદિત્ય પણ સવાલોના ઘેરમાં
મુંબઈ, 13 જૂન : જિયા ખાન આત્મહત્યા કેસમાં હવે પુત્ર સૂરજ સાથે પિતા આદિત્ય પંચોલી પણ ફસાતા જાય છે. અભિનેત્રી જિયા ખાનના માતા રાબિયા ખાનનું કહેવું છે કે સૂરજ પંચોલી ઉપરાંત આદિત્ય પંચોલીએ પણ જિયા ખાન સાથે મારઝૂડ કરી હતી. આદિત્ય પણ નહોતા ઇચ્છતાં કે તેમનો પુત્ર જિયા સાથે રહે. તેથી તેમણે પણ પુરતા પ્રયત્નો કર્યાં બંનેના બ્રેક-અપ માટે. તેથી હવે આદિત્ય પંચોલી પણ પૂછપરછના ઘેરામાં આવી શકે છે.
બીજી બાજુ સૂરજ પંચોલીની ધરપકડ પછી આદિત્ય પંચોલી લાપતા છે. કહે છે કે મીડિયાના સવાલોથી બચવા આદિત્ય પંચોલી લાપતા છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં એક પછી એક નવા વળાંકો આવતા જાય છે. પોલીસે જિયા ખાનની ગર્ભપાત અંગેની મેડિકલ રિપોર્ટ મેળવી લીધી છે. પોસ્ટમાર્ટમ રિપોર્ટ મુજબ જિયાના માથામાં ઈજાના નિશાન હતાં કે જે સૂરજની મારઝૂડથી થયા હતાં કે કેમ, તે તપાસનો વિષય છે.
જિયા ખાન બૉલીવુડમાં છેલ્લા પાંચ વરસથી સક્રિય હતાં, પરંતુ આ દરમિયાન તેમણે માત્ર ત્રણ જ ફિલ્મો કરી હતી. તેમાં અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ, આમિર ખાન સાથે ગઝની અને અક્ષય કુમાર સાથે હાઉસફુલ ફિલ્મોનો સમાવેશ થાય છે.