અમિતાભે ઍવૉર્ડમાં મળેલ અઢી લાખ તોમર પરિવારને આપ્યાં
મુંબઈ, 26 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન દિલ્હી ગૅંગ રેપના વિરોધ દરમિયાન ભીડના હુમલાનો ભોગ બનેલ સુભાષચંદ્ર તોમરના પરિવારના વહારે આવ્યાં છે. અમિતાભે આ હુમલામાં જાન ગુમાવનાર તોમરના પરિવાર પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતાં ઍવૉર્ડમાં પ્રાપ્ત અઢી લાખ રુપિયાની રકમ તોમરના પરિવારના નામે કરી નાંખી.

સુભાષચંદ્ર તોમર ગત રવિવારે ઇન્ડિયા ગેટે હિંસક દેખાવો દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતાં અને મંગળવારે ડૉ. રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં તેમનું મોત નિપજ્યુ હતું. બિગ બીએ પોતાની દરિયાદિલીનો પરચો દાખવતાં તોમરના પરિવારને રકમ આપી અને પછી તે વાત ફેસબુક ઉપર લખી.
બિગ બીએ ફેસબુક ઉપર લખ્યું - મને એસઆઈઈએસ, સાઉથ ઇન્ડિયન એજ્યુકેશનલ સોસાયટી તરફથી એક ઍવૉર્ડ મળ્યો. હું તેમનો કૃતજ્ઞ છું. આ ઍવૉર્ડ અને ગત ઍવૉર્ડ માટે મને કુલ્લે અઢી લાખ રુપિયા મળ્યા હતાં. મેં આ સન્માન હૃદયપૂર્વક સ્વીકાર કર્યો છે, પરંતુ આ રકમ હું દિલ્હી પોલીસના કૉન્સ્ટેબલ સુભાષચંદ્ર તોમરના પરિવારને આપી રહ્યો છે કે જેમનું હિંસક પ્રદર્શન દરમિયાન મોત થઈ ગયું. તેઓ પોતાના પરિવાર માટે એકમાત્ર આવકના આધારસ્તંભ હતાં.
અમિતાભે જણાવ્યું - હું તે બાળકી અંગે પણ દુઃખી છું કે જેની હાલતમાં થોડોક સુધારો થયા બાદ પુનઃ નકારાત્મક પરિવર્તનો જોવા મળ્યાં છે. તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હું પ્રાર્થના કરુ છું કે તે જલ્દીથી સાજી થઈ જાય.
દરમિયાન ગૃહ મંત્રાલયે પણ તોમર પરિવારને દસ લાખ રુપિયાની સહાય કરી છે. મંત્રાલયના પ્રવક્તા મુજબ આ રકમ તોમર પરિવારને વળતર તરીકે આપવામાં આવી છે. આ રકમ દિલ્હી પોલીસ દ્વારા અપનાર રકમ ઉપરાંત છે.












Click it and Unblock the Notifications
