સૂરજ પંચોલી 27મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં
મુંબઈ, 13 જૂન : બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી સૂરજ પંચોલી હવે 27મી જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. તેઓ આજ સુધી પોલીસ કસ્ટડીમાં હતાં. આજે તેમને કોર્ટમાં રજૂ કરાયાં કે જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયાં છે.
આ અગાઉ જિયાના માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો હતો કે તેમની ઉપર બૉલીવુડમાંથી દબાણ બનાવાઈ રહ્યું છે કે તેઓ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લે, કારણ કે સૂરજ નિર્દોષ છે. રાબિયાએ કોઈનું નામ નથી લીધું, પણ એટલું કહ્યું કે તેમની પાસે મોટા સ્ટાર્સના ફોન આવી રહ્યાં છે કે જેઓ તેમને કહી રહ્યાં છે કે આપ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લો.
હાલ તો સૂરજ પંચોલીના માતા ઝરીના વહાબ વારંવાર એમ જ કહી રહ્યાં છે કે તેમના પુત્રને ફસાવવામાં આવી રહ્યું છે. ઝરીનાએ રાબિયા ખાનને મળવાના પણ પ્રયત્ન કર્યાં, પરંતુ રાબિયાએ તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. રાબિયા ખાને તો જિયાના મોત માટે સૂરજ પંચોલી ઉપરાંત તેના પિતા આદિત્ય પંચોલી સામે પણ સવાલ ઊભા કર્યાં છે. તેમનું કહેવું હતું કે જિયા ખાન સાથે આદિત્યે પણ મારઝૂડ કરી હતી.
એમ તો સૂરજ પંચોલીને આજ સુધીના પોલીસ રિમાંડ ઉપર મોકલાયાં છે. આ અગાઉ જિયાના માતાએ સૂરજ તથા તેના પિતા આદિત્ય પંચોલી વિરુદ્ધ પણ પોતાની પુત્રી સાથે મારઝૂડ કરવાનો આરોપ મૂક્યો છે.