જિયાની સુસાઇડ નોટ હસ્તલેખન નિષ્ણાંતને મોકલાશે
મુંબઈ, 18 જૂન : જિયા ખાનની છ પાનાની સુસાઇડ નોટ હસ્તલેખન નિષ્ણાંતને તપાસ માટે મોકલાશે. એક પોલીસ અધિકારીએ જિયા ખાન દ્વારા આત્મહત્યા અગાઉ લખેલ છ પાનાના પત્રનું લખાણ જિયા ખાનના લખાણ સાથે મેળ ન ખાતો હોવાની વાતોને મીડિયાની અટકળ ગણાવી અને જણાવ્યું કે આ પત્ર ફૉરેંસિક પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
મુંબઈ (પશ્ચિમ)ના વધારાના પોલીસ કમિશ્નર વિશ્વાસ નાંગરે પાટિલે જણાવ્યું - જિયા ખાન આત્મહત્યા કેસ હજી ત્યાંનો ત્યાં જ છે. તેમાં કોઈ નવા ખુલાસા નથી થયાં. મીડિયામાં અત્યાર સુધી આવેલી એવી તમામ ખબરો અટકળો જ છે કે જિયાના પત્રની રાઇટિંગ જિયાની રાઇટિંગ સાથે મળતી નથી આવતી. પોલીસ તરફથી આવું કોઈ નિવેદન અપાયુ નથી. પત્ર હવે ફૉરેંસિક તપાસ માટે મોકલવામાં આવશે.
નોંધનીય છે કે બૉલીવુડ અભિનેત્રી જિયા ખાને ગત 3જી જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. જિયા ખાન માત્ર ત્રણ જ ફિલ્મો કરી શક્યા હતાં. આત્મહત્યા કરતા અગાઉ કથિત રીતે જિયાની સુસાઇડ નોટ મળી આવી હતી કે જેમાં તેમણે પોતાના બૉયફ્રેન્ડ સૂરજ પંચોલી સાથે વણસતા સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. જિયાના નાના બહેન કવિતાએ જણાવ્યું - આ માત્ર અટકળો છે. સુસાઇડ નોટ જિયા ખાને જ લખી છે. વગર કારણે કોઈ એવું કેમ કરશે? આ કેસમાં સૂરજની ગત 10મી જૂને ધરપકડ કરવામાં આવી હતી. સૂરજની જામીન અરજી ઉપર સુનાવણી 21મી જૂને થનાર છે.