'જોલી એલએલબી 2'ના અક્ષય કુમારના કો-સ્ટારનું નિધન
'જોલી એલએલબી 2'ના એક્ટર સીતારામ પંચાલ કેન્સર સામેની લાંબી લડાઇ બાદ ગુરૂવારે મૃત્યુ પામ્યા હતા.
'જૉલી એલએલબી 2'માં અક્ષય કુમાર સાથે કામ કરનાર અને 'પાન સિંહ તોમર'માં ઇરફાન ખાન સાથે જોવા મળેલ એક્ટર સીતારામ પંચાલનું નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. થોડા સમય પહેલાં જ તેમણે ફેસબૂક પર પોસ્ટ લખી પોતાની આપવીતી સૌને જણાવી હતી, સાથે તેમણે જણાવ્યું હતું કે, તેમને મદદની સખત જરૂર છે.
સીતારામ પંચાલના એક સંબંધીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં આ ખબરની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે 7.45 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમની સારવાર ચાલી રહી હતી અને છેલ્લે તો તેમની પાસે ઇલાજના પૈસા પણ નહોતા બચ્યા.
સીતારામ પંચાલે વર્ષ 1994માં બેન્ડિટ ક્વીનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ 'પીપલી લાઇવ', 'સ્લમડોગ મિલિયોનર', 'જૉલી એલએલબી 2', 'પાન સિંહ તોમર' વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે.
વર્ષ 2014માં તેમને કેન્સરની બીમારી અંગે જાણકારી મળી હતી, આમ છતાં તેઓ ફિલ્મોમાં સક્રિય હતા. ફેસબૂક પર તેમની પોસ્ટ વાંચ્યા બાદ ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા હતા. છેલ્લા 10 મહિનાથી તેઓ પથારીવશ હતા.