પ્રિયંકા સાથે પોતાને રિલેટ કરી શકે છે કરીના
એ તો સૌ જાણે છે કે કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા વચ્ચે ક્યારેય મૈત્રી ન હોઈ શકે. બંને અભિનેત્રીઓ ભલે કેટલાંય પ્રયત્નો કરે, પણ તેમની વચ્ચેની ખીણ ભરવી કોઈના વશની વાત નથી. પણ જો જરૂર પડે, તો આ બંને દુનિયાની સામે એક-બીજાને ખાસ મિત્ર બતાવવામાં પીછેહઠ નહિં કરે. એવું તાજેતરમાં જ કરીનાએ સાબિત કરી આપ્યું.
થયું એમ કે કરીના કપૂર તાજેતરમાં જ મેક્સિમ મેગેઝીનમાં પોતાની તસવીર કવર પેજ ઉપર પ્રસિદ્ધ થવા અંગે એક ઇવેન્ટનો ભાગ બની હતી અને ત્યાં દીપિકા પાદુકોણે તેમજ પ્રિયંકા આ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, તો બેબોએ બહુ સિફતપૂર્વક પોતાનો બચાવ કરતાં દીપિકા કરતાં પ્રિયંકાને વધુ સારી અભિનેત્રી ગણાવી અને સાથે જ એમ પણ જણાવ્યું કે તેઓ પ્રિયંકા સાથે પોતાને વધુ રિલેટ કરી શકે છે.
કરીનાએ જણાવ્યું હતું, ‘હું પ્રિયંકા સાથે પોતાને રિલેટ કરી શકું છું. પ્રિયંકા એક દમદાર એક્ટ્રેસ છે. મને તેમની એક્ટિંગ પસંદ છે અને તેમનો અવાજ પસંદ છે.'
એટલે કે સરવાળે કરીનાએ પ્રિયંકાને દીપિકા કરતા વધુ સારી એક્ટ્રેસ ગણાવતાં દીપિકા અંગે કઈં પણ કહેવામાંથી પોતાને ઉગારી લીધી. વળી ગોર કરીએ તો કરીનાની આ વાત પાછળ કોઈકને કોઈક તો કારણ છે. અને તે કારણ એ પણ હોઈ શકે કે તાજેતરમાં જ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા કરીનાના હાથમાંથી સરકી દીપિકાના હાથે પહોંચી ગઈ, તો આ વાતને લઈને કરીના દીપિકા પ્રત્યેક થોડીક નારાજ હોય અને તેથી પોતાની નવી દુશ્મનને છોડી કરીનાએ પોતાની જૂની દુશ્મનની પ્રશંસા કરવું વધુ સેફ અને બહેતર માન્યું હોય.
આ ઈવેન્ટ દરમિયાન કરીનાને જ્યારે તેના લગ્ન અંગે વાત કરવામાં આવી, તો કરીનાએ ફરી એક વાર બહુ સિફતપૂર્વક વાતને ટાળી નાંખી. તેમણે જણાવ્યું હતું કે તેઓ લગ્ન અંગેની વાત છુપાવતાં નથી, પણ અત્યારે તેઓ બંને એટલે કે સૈફ-કરીના પોતે નથી જાણતા કે બંનેના લગ્ન ક્યારે અને ક્યાં થશે. તો જ્યારે બધુ પાકું થઈ જાય, બધાને સમાચાર આપી દેવાશે.