મધુબાલાના પ્રેમમાં કિશોરકુમારે અપનાવ્યો ઈસ્લામ ધર્મ
બોલિવુડના સૌથી સફળ ગાયકોમાંના એક એવા કિશોરકુમારનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1929 ના રોજ મધ્યપ્રદેશના ખાંડવામાં થયો હતો.
બોલિવુડના સૌથી સફળ ગાયકોમાંના એક એવા કિશોરકુમારનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1929 ના રોજ મધ્યપ્રદેશના ખાંડવામાં થયો હતો. પોતાની ગાયકીથી લોકોના દિલ પર રાજ કરનારા કિશોર કુમારની તેમના અભિનય માટે પણ એટલી જ પ્રશંસા કરવામાં આવી હતી. કિશોરકુમારે ફિલ્મો માટે લગભગ 1500 થી વધુ ગીતો ગાયા હતા અને ઘણી હિટ ફિલ્મોમાં અભિનય પણ કર્યો. બહુમુખી પ્રતિભા ધરાવતા કિશોર કુમારનું ફિલ્મી કેરિયર જેટલુ સફળ રહ્યુ તેટલી તેમની પર્સનલ લાઈફ ઉતાર ચડાવવાળી રહી. ચાર લગ્ન કરનારા કિશોર કુમારને વૈવાહિક જીવનનું સુખ ન મળ્યુ.
મુશ્કેલ સમયમાં પકડ્યો મધુબાલાનો હાથ
કિશોર કુમારે ચાર અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા અને બધા સાથે તેમનો સંબંધ કંઈ ખાસ ન રહ્યો. જો કે કિશોર કુમાર અને જે પત્નીની ચર્ચા સૌથી વધુ રહી તે હતી મધુબાલા. કુમાર મધુબાલાને ખૂબ જ પ્રેમ કરતા હતા. મહોબ્બત એવી કે તેમના માટે પોતાના ધર્મ પણ બદલી દીધો હતો. કુમારે મધુબાલાનો હાથ ત્યારે પકડ્યો જ્યારે તે પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.
લગ્ન માટે મુસલમાન બન્યા હતા કુમાર
મધુબાલાના દિલમાં છિદ્ર હતુ જેના ઈલાજ માટે તે ફરીથી લંડન જવાની તૈયારીમાં હતી. આ દરમિયાન કિશોર કુમારે મધુબાલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. કિશોર કુમારે જ્યારે મધુબાલાને પ્રપોઝ કર્યુ ત્યારે તેમની પહેલી પત્ની રુમા સાથે છૂટાછેડા થયા નહોતા. મધુબાલા સાથે ખૂબ જ પ્રેમ કરનારા કિશોર કુમાર પોતાને રોકી શક્યા નહિ અને સ્હેજ પણ રાહ જોયા વિના મધુબાલા સામે પ્રસ્તાવ મૂકી દીધો. મધુબાલાએ પણ સ્હેજ પણ રાહ જોયા વિના કુમારના પ્રસ્તાવ માટે હામી ભરી દીધી અને બંનેએ 1960 માં લગ્ન કરી લીધા.
શું ખરેખર કુમારે મધુબાલાને છોડી દીધી હતી?
મધુબાલા સાથે લગ્ન કરવા માટે કિશોર કુમારે પોતાનો ધર્મ બદલી દીધો હતો. કુમારે ઈસ્લાન ધર્મ અપનાવીને પોતાનું નામ કરીમ અબ્દુલ રાખી દીધુ હતુ. મધુબાલા સાથે લગ્ન કરવા પર તેમનો પરિવાર તેમનાથી ખુશ નહોતો પરંતુ કુમારે તેમછતાં તેમની સાથે લગ્ન કર્યા. કુમાર અને મધુબાલાના વૈવાહિક જીવન અંગે ઘણા સમાચારો સામે આવ્યા હતા કે બિમારીના કારણે કુમારે મધુબાલાને છોડી દીધી હતી પરંતુ મધુબાલાની બહેન મધુર ભૂષણના જણાવ્યા અનુસાર આવુ નહોતુ. મધુર ભૂષણના જણાવ્યા અનુસાર ડૉક્ટરોએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે મધુબાલા પાસે જીવવા માટે માત્ર થોડાક જ વર્ષો છે. બિમારીના કારણે મધુબાલા ખૂબ ગુસ્સો કરવા લાગી હતી અને કુમાર સાથે ઝઘડવા લાગી હતી.
આ કારણોથી મધુબાલાથી દૂર થયા કુમાર
મધુબાલા ઘણી વાર પોતાના પિતાના ઘરે આવી જતી. લંડનમાં ડૉક્ટરોને મળ્યા બાદ કુમારે મધુબાલાને એવુ કહીને તેના પિતાના ઘરે છોડી દીધી હતી કે તે હંમેશા બહાર રહે છે અને એટલા માટે તેનો વ્યવસ્થિત ખ્યાલ નહિ રાખી શકે. કુમાર મધુબાલાને મળવા માટે 2-3 મહિનામાં એક વાર આવતા હતા. આન પાછળ પણ એક મોટુ કારણ હતુ. કુમાર નહોતા ઈચ્છતા કે મધુબાલા તેમને જોઈને રડે કારણકે તે તેમના હ્રદય માટે સારુ નહોતુ. કુમારનું કહેવુ હતુ કે આના કારણે તે ડિપ્રેશનમાં જતી રહેશે. કુમારે ભલે બિમાર મધુબાલાને તેના પિતાના ઘરે છોડી દીધી હોય પરંતુ અંતિમ સમયમાં તેમના મેડીકલ ખર્ચ કુમારે જ ઉઠાવ્યા હતા.
કિશોર કુમારે કર્યા હતા ચાર લગ્ન
મધુબાલાએ 23 ફેબ્રુઆરી, 1969 ના રોજ દુનિયાને અલવિદા કહી દીધી હતી. કિશોર કુમારે મધુબાલા પહેલા બંગાળી ગાયક અને અભિનેત્રી રુમા ગુહા ઠાકુર્તા સાથે લગ્ન કર્યા હતા. રુમાથી તેમને બે પુત્રો થયા. મધુબાલાના ગુજરી ગયા બાદ કિશોર કુમારે યોગીતા બાલી સાથે લગ્ન કર્યા જે માત્ર 2 વર્ષ જ ટક્યા. ત્યારબાદ તેમણે લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી પણ તેમને એક પુત્ર થયો. લીના કુમારની છેલ્લી પત્ની હતી.