હવે આર્યન ખાન માટે ભાજપ નેતા રામ કદમે કર્યુ ટ્વિટ, કહ્યુ - પ્રાર્થના છે કે આજે આર્યનને જામીન મળી જાય
આર્યન ખાનના જામીનને લઈને મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય રામકદમે હવે પોતાની પ્રતિક્રિયા આપી છે.
મુંબઈઃ મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્ઝ પાર્ટી કેસમાં આર્યન ખાનના જામીન પર આજે સેશન કોર્ટમાં સુનાવણી થવાની છે. જ્યાં દેશભરના લોકોની નજર આજે કોર્ટ પર લાગેલી છે ત્યાં બીજી તરફ આર્યન ખાનના જામીનને લઈને મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય રામકદમે હવે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે બુધવારે એક પછી એક ઘણા ટ્વિટ કર્યા છે અને આર્યન ખાનને જામીન મળી જાય તે માટે ઉપરવાળાને પ્રાર્થના કરી છે.
'પ્રાર્થના છે કે આજે આર્યન ખાનને જામીન મળી જાય'
રામ કદમે પોતાના ટ્વિટમાં લખ્યુ હતુ કે પ્રાર્થના છે કે આજે આર્યન ખાનને જામીન મળી જાય. બંધારણ અને કાયદા હેઠળ જામીન મળવા એ મૂળભૂત અધિકાર છે. આ કોઈ એક વ્યક્તિ વિશેષના વિરોધની લડાઈ નથી પરંતુ આખી માનવ જાતિની ડ્રગ્ઝ વિરોધી જંગ છે. આશા હતી કે મહારાષ્ટ્ર સરકાર કમસે કમ આ ખતરનાક કેસમાં ડ્રગ્ઝ માફિયા સામે ઉભી રહેતી પરંતુ તેમના પર વસૂલીનો ખેલ હાવી છે.
બધા પક્ષો અને માનવ જાતિ એક ન થઈ શકે?
તેમણે આગળ લખ્યુ છે કે, 'પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ પણ પોતાની આગામી ચૂંટણી માટે તેને શેકવાની કોશિશ કરી છે પરંતુ શું જે નશો આપણા ઘરના યુવાનોને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે તેની સામે બધા પક્ષ અને માનવ જાતિ એક ન થઈ શકે?' તેમણે કહ્યુ કે, 'બદલાતા ભારતને એક સંદેશ તો જરૂર ગયો કે કાયદા સામે કોઈ અમીર ગરીબ નેતા, અભિનેતા નથી હોતો, બધા સમાન છે. ભવિષ્યમાં આર્યન સ્વય ડ્ર્ગ્ઝનુ કલંક જે તેની બદનામીનુ કારણ બન્યુ, તે એના વિરોધમાં પ્રખર લડાઈ લડીને દેશના નવયુવાનોને આ ખતરનાક નશાથી દૂર રાખવાનો પ્રયત્ન કરીને પોતાના સંકટને સુવર્ણ અવસરમાં બદલી શકે, આ એક દેશવાસીના નાતે શુભકામના છે.'
શિવસેના નેતા કિશોર તિવારી પહોંચ્યા SC
તમને જણાવી દઈએ કે આર્યન ખાનનો કેસ હવે સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને શિવસેના નેતા કિશોર તિવારીએ સુપ્રીમ કોર્ટમાં આર્યન ખાનના બચાવમાં એક અરજી દાખલ કરી છે જેમાં તેમણે કહ્યુ છે કે આર્યન ખાનના મૌલિક અધિકારોની રક્ષા થવી જોઈએ અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી) અને તેમના દ્વારા કરવામાં આવી રહેલી તપાસની પણ તપાસ થવી જોઈએ. ખાસ કરીને મુંબઈમાં તૈનાત એનસીબીના અધિકારીઓની તપાસ ખૂબ જરૂરી છે કારણકે છેલ્લા ઘણા સમયથી અમુક નામચીન ફિલ્મી સ્ટાર્સ અને મૉડલ્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
|
આર્યન ખાનને મળશે બેલ કે જેલ?
તમને જણાવી દઈએ કે મુંબઈ એનસીબી ઝોનલ અધિકારી સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જતા ક્રૂઝ જહાજ પર રેડ પાડી હતી. એનસીબીની ટીમે કથિત રીતે 13 ગ્રામ કોકીન, 5 ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ચરસ અને એમડીએમએ(એક્સ્ટસી)ની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા કેશ જપ્ત કર્યા હતા અને 8 લોકોની ધરપકડ કરી હતી જેમાં આર્યન ખાન પણ હતો. જો કે અત્યાર સુધી આ કેસમાં 20 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને આર્યન ખાનની જામીન અરજી ત્રણ વાર ફગાવવામાં આવી ચૂકી છે. આર્યન હાલમાં આર્થર જેલમાં બંધ છે.