Special 6 : ...કે હું લાંચ લેવાનું શરૂ કરી દઉં !!!
રખેને ઉંધુ ના સમજતા, આ ફિલ્મનું નામ સ્પેશિયલ 26 જ છે, પરંતુ ફિલ્મમાં મનોજ વાજપાયી દ્વારા એક ડાયલોગ બોલવામા આવે છે, જેને સાંભળીને એવું લાગે છે કે તેણે સ્પેશિયલ 26માં સ્પેશિયલ સિક્સર ફટકારી હોય.. અને તેથી જ અહીં હેડિંગમાં 2 હટાવીને માત્ર સ્પેશિયલ 6 લખવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીએ બોક્સ ઓફિસ પર એક સાચી ઘટના પર આધરિત ફિલ્મ રજૂ થઇ. સ્પેશિયલ 26. બોલિવુડના ખેલાડી કુમારને એક તદ્દન અલગ જ રોલમાં રજૂ કરતી આ ફિલ્મનો સબ્જેક્ટ પણ અલગ જ હતો. ખાસ કરીને એક સાચા અને પ્રામાણિક સીબીઆઇ અધિકારીના રોલમાં મનોજ વાજપાયીએ એ તમામ અધિકારીઓ કે જે તેમની નોકરી દરમિયાન માત્ર પ્રામાણિકતાને જ વરેલા છે તેમના મનમાં રહેલી એક ભાવના કહો કે વ્યથાને સહજતાથી રજૂ કરી છે.
ફિલ્મના દરેક ભાગને નીરજ પાન્ડે દ્વારા સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. વેનસડે પછીની નીરજ પાન્ડેની આ બીજી ફિલ્મ છે અને આ ફિલ્મમાં પણ તેણે પોતાનું કામ શ્રેષ્ઠતાથી કર્યું છે. પરંતુ વિષય ફિલ્મને કેવી રીતે રજૂ કરી અને ફિલ્મના નામદાર અભિનેતાઓએ કેવો અને કેવા પ્રકારનો અભિનય કર્યો છે, તે નથી. વિષય છે, ભ્રષ્ટાચારથી ખરડાયેલી આપણી આ સિસ્ટમમાં એવા ઘણા અધિકારીઓ છે કે જેમણે પોતાનું કામ નિષ્ઠા, પ્રામાણિકતાથી જ કરવાની આદત છે, પરંતુ ઓછી આવકના કારણે તેઓ સમાજની એ લાઇફ નથી જીવી શકતા જે અન્યો જીવે છે.
સ્પેશિયલ 26માં મનોજ વાજપાયીના પાત્ર થકી નીરજ પાન્ડેએ એ અધિકારીઓની વ્યથાને કહેવાનો આબાદ રીતે પ્રયાસ કર્યો છે. મનોજ વાજપાયીએ એક પ્રામાણિક સીબીઆઇ અધિકારીનું પાત્ર ભજવ્યું છે. જેના માટે પોતાનું કામ પ્રામાણિકતાથી કરવાનું ઝૂનૂન સવાર છે. તે જરા પણ લાંચ લીધા વગર પોતાના કામને પ્રામાણિકતાથી કરતો આવે છે, પંરતુ તેની આવક તેના માટે એક મોટી સમસ્યા છે. રખે, ફિલ્મમાં તે કોઇ ભ્રષ્ટ અધિકારી નથી બની જતો, પરંતુ તે ફિલ્મમાં પોતાના શાનદાર અંદાજમાં તેના ઉપરી અધિકારીને એ વાતનું અલ્ટિમેટમ આપી દે છે કે તેની આવક એટલી નથી કે તે તેના પરિવારને શાનદાર લાઇફ જીવાડી શકે.
અક્ષય કુમાર દ્વારા એક નેતાને નકલી સીબીઆઇ બનીને લૂંટવામાં આવ્યા બાદ જીમી શેરગીલ કે જે અક્ષય કુમારનો જ માણસ છે, તે અસલી સીબીઆઇ પાસે જાય છે અને અક્ષય કુમારની ટીમે કેવી રીતે નકલી સીબીઆઇ બની રાજકારણીને ચૂનો લગાવ્યો તેની આખી કથા વર્ણવે છે, એ સમયે મનોજ વાજપાયી સીબીઆઇની ઓફિસે આવે છે, તેના ઉપરી અધિકારી તેને આ કેસ અંગે સમજાવતા હોય છે, ત્યારે મનોજ વાજપાયી તેના ઉપરી અધિકારીને કહે છે કે, 'સર, ઇસબાર મેરા પગાર બઢેગા? ઇક્રિમેન્ટ મિલેગા? યા ફિર મે રિશવત લેના શરૂ કર દું....'
આમ જોઇએ તો મનોજ વાજપાયીનો આ એક ડાયલોગ કંઇ નથી પરંતુ બીજી રીતે વિચારીએ તો આ એક ડાયલોગ ઘણું બધું કહી જાય છે. વધતી મોંઘવારી અને નબળા પગાર વચ્ચે પિસાતા મધ્યમ વર્ગીય સરકારી કર્મચારીઓ કે જેમણે પોતાની સામાન્ય લાઇફ જીવવા માટે પણ આજના આ મોંઘા યુગમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે, ત્યારે જે પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવી રહ્યો છે તેને આ સામાન્ય જીવન જીવવા માટે પણ એક સમયે રિશવત લેવાની ઇચ્છા મનમાં ઉદ્દભવી જાય છે, પરંતુ તે પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતાથી દૂર જઇ શકતો નથી.