સાચા-સજ્જન મિત્ર પ્રાણને અભિનંદન : અમિતાભ બચ્ચન
મુંબઈ, 15 એપ્રિલ : બૉલીવુડના જાણીતાં ખલનાયક અને બહેતરીન ચરિત્ર અભિનેતા પ્રાણની દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ માટે પસંદગી થતાં સમગ્ર બૉલીવુડ ખુશ છે અને તેમને અભિનંદન પાઠવી રહ્યું છે. પ્રાણને આ ઍવૉર્ડ માટે યોગ્ય હકદાર ગણાવતાં લોકોમાં સામાન્યથી લઈ વિશિષ્ટ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
પ્રાણને પોતાના લકી ચાર્મ ગણતાં સદીના મહાનાયક બિગ બીએ ફેસબુક ઉપર લખ્યું છે - સાચા સજ્જન અને મહાન મિત્ર પ્રાણને મારા અને મારા પરિવાર તરફથી 2012ના દાદાસાહેબ ફાળકે પુરસ્કાર બદલ ખૂબ-ખૂબ અભિનંદન. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે.
અમિતાભ બચ્ચને લખ્યું છે - પ્રાણ સાહેબ એક શ્રેષ્ઠ માણસ છે અને કામ પ્રત્યે તેમના સમર્પણે જ તેમને મહાન બનાવ્યાં છે. મેં તેમને નજીકથી ત્યારે જાણ્યાં કે જ્યારે મેં તેમની સાથે કામ કર્યું.
નોંધનીય છે કે અમિતાભે ઝંજીર જેવી પોતાની પ્રથમ સુપરહિટ ફિલ્મમાં પ્રાણ સાથે કામ કર્યુ હતું. ઝંજીર બાદ અમિતાભે પ્રાણ સાથે ડૉન, અમર અકબર એંથની, કાલિયા અને શરાબી જેવી મેગાહિટ ફિલ્મો આપી છે.