પ્રિયંકાને શરમના પાઠ ભણાવનાર સ્ટાર શેફની નોકરીમાંથી છુટ્ટી
દુબઈ સ્થિત જેડબ્લ્યુ મેરિયટ હોટલના સ્ટાર શેફ અતુલ કોચરને તેમના ટ્વિટને કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
દુબઈ સ્થિત જેડબ્લ્યુ મેરિયટ હોટલના સ્ટાર શેફ અતુલ કોચરને તેમના ટ્વિટને કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કોચરે પ્રિયંકા ચોપડા પર નિશાન સાધતા એક ઈસ્લામ વિરોધી ટ્વિટ કર્યુ હતુ ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. જો કે બાદમાં કોચરે આ ટ્વિટને ડિલીટ કરી દીધુ હતુ અને સ્પષ્ટતા પણ આપી હતી. કોચરે આ ટ્વિટ રવિવારે કર્યુ હતુ, "એ જોવુ દુઃખદ છે કે તમે (પ્રિયંકા ચોપડા) હિંદુઓની ભાવનાઓનું સમ્માન ન કર્યુ જે છેલ્લા 2000 વર્ષોથી ઈસ્લામ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. તમને પોતાના પર શરમ આવવી જોઈએ." બાદમાં જ્યારે વિવાદ વધ્યો તો કોચરે આ ટ્વિટ ડિલીટ કરી દીધુ એક નવુ ટ્વિટ પોસ્ટ કર્યુ.
વર્ષ 2007 માં મિશેલિન સ્ટાર એવોર્ડથી સમ્માનિત
તેણે લખ્યુ, "મારા ટ્વિટના સંદર્ભમાં કોઈ સ્પષ્ટતા રજૂ ન કરી શકાય. રવિવારે ક્ષણિક ભાવનાઓમાં વહીને મારાથી ભૂલ થઈ ગઈ. હું મારી ભૂલને સમજુ છુ અને હું ઈમાનદારીથી માફી માંગુ છુ. હું ઈસ્લામોફોબિક નથી. મને મારી ટીપ્પણીઓ પર દુઃખ છે જેણે ઘણા લોકોને નારાજ કરી દીધા છે." પરંતુ ટ્વિટ ડિલીટ કરવા અને માફી માંગવા છતાં દુબઈની હોટલે તેમને બુધવારે નોકરીમાંથી કાઢી મૂક્યા. ત્યારબાદ એક પ્રવકતાએ કહ્યુ, "અમે અમારી હોટલ અને રેસ્ટોરાંમાં સાંસ્કૃતિક વિવિધતા જાળવી રાખીએ છીએ અને આના પર અમને ગર્વ છે. આ મહેમાનોની સાથે સાથે અહીં કામ કરનારા લોકોના સંદર્ભમાં પણ છે." અતુલ બીજા એવા ભારતીય શેફ છે જેમને તેમના લંડન સ્થિત બનારસ રેસ્ટોરાં માટે વર્ષ 2007 માં મિશેલિન સ્ટાર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
પ્રિયંકા ચોપડા અને ક્વાંટિકો
છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયંકા ચોપડાનો શો ક્વાંટિકો ઘણો ચર્ચામાં છે અને તે પણ માત્ર એક એપિસોડના એક દ્રશ્ય માટે. આ એક દ્રશ્યના કારણે પહેલા પ્રિયંકાએ લોકોની માફી માંગવી પડી, ત્યારબાદ શો ના નિર્માતાઓને અને હવે તે જ એપિસોડ પર ટીપ્પણી કરવાને કારણે એક ભારતીય મૂળના સ્ટાર શેફને પોતાની નોકરી ગુમાવવી પડી છે.
પાકિસ્તાન-ભારત વચ્ચે શાંતિ વાર્તા
આ વિવાદિત દ્રશ્ય ‘ક્વાંટિકો 3' ના પાંચમાં એપિસોડનું છે. આ દ્રશ્યમાં બતાવવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન-ભારત વચ્ચે શાંતિ વાર્તા થવાની છે અને આ પહેલા ન્યૂયોર્કમાં કટ્ટરપંથી પરમાણુ હુમલાના ષડયંત્રની જાણકારી મળે છે. પ્રિયંકા આ સીરિયલમાં એફબીઆઈ એજન્ટ એલેક્સ પેરિસની ભૂમિકા નિભાવી રહી છે. આ હુમલાના ષડયંત્રના આરોપમાં એક શખ્સને પકડવામાં આવે છે અને તેમની ટીમના કેટલાક લોકોને શંકા જાય છે કે તે પાકિસ્તાની છે. પરંતુ પ્રિયંકા તેના ગળામાં રુદ્રાક્ષની માળા જુએ છે. પાકિસ્તાની મુસલમાન રુદ્રાક્ષની માળા ન પહેરી શકે. આ ભારતીય રાષ્ટ્રવાદી છે જે હુમલા દ્વારા પાકિસ્તાનને ફસાવવાની કોશિશ કરી રહ્યો છે.
માફીનો દોર ચાલ્યો
જો કે બાદમાં પ્રિયંકાએ આ દ્રશ્ય માટે માફી માંગતા ટ્વિટ કર્યુ હતુ, તેણે લખ્યુ, "મને ખૂબ દુઃખ છે કે ક્વાંટિકોના હાલના એપિસોડથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આવો કોઈ ઈરાદો નહોતો... મને ભારતીય હોવા પર ગર્વ છે અને એ નહિ બદલી શકે." ત્યારબાદ સીરિયલના નિર્માતા એબીસી નેટવર્કે પણ ક્વાંટિકોમાં હિંદુ કટ્ટરપંથી સાથે જોડાયેલા આ દ્રશ્ય માટે માફી માંગી હતી. સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર કંપનીએ કહ્યુ હતુ, "આ એપિસોડ અંગે ઘણા લોકો ભાવુક થઈ ગયા છે અને તેમના ગુસ્સાના નિશાના પર પ્રિયંકા છે. જેમણે ના તો આ શો બનાવ્યો છે, ના તો આની સ્ક્રીપ્ટ લખી છે કે ના આનુ નિર્દેશન કર્યુ છે."