Big B Special: અમિતાભની આ વાતે જયાની આંખમાં આવ્યા આંસુ
રેખાએ તેના અને અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધોની કરી સ્પષ્ટતા. જયા બચ્ચનને રેખા અને અમિતાભ બચ્ચનના સાથે કામ કરવા સામે વાંધો હતો. આ અંગે વધુ વાંચો અહીં..
આપણા બોલીવૂડ ફિલ્મોની સુપરહિટ જોડી રેખા અને અમિતાભ બચ્ચન તેમના કિસ્સાઓના કારણે હંમેશા ચર્ચામાં રહ્યાં છે. આ સુપરહિટ જોડીએ ઘણી બધી સારી ફિલ્મો આપી છે. તેમણે છેલ્લે ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ અમિતાભ અને રેખાએ એક પણ ફિલ્મ સાથે નથી કરી. તેનું કારણ તમે જાણો છો? તેનું કારણ છે જયા બચ્ચન. સ્ટારડસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રેખાએ આ વાત જણાવી હતી. આ ઉપરાંત રેખાએ બીજા પણ અનેક ખુલાસા કર્યા હતા. તો આ અંગે વધુ વાંચો અહીં...
'મુકદ્દર કા સિકંદર'નો ટ્રાયલ શો
રેખાએ સ્ટારડસ્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'મારી અને અમિતાભની ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર'નો ટ્રાયલ શો જોવા માટે સમગ્ર બચ્ચન પરિવાર આવ્યો હતો. જયા બચ્ચન આગળની લાઈનમાં બેઠા હતા અને તેમનો પરિવાર પાછળની લાઇનમાં બેઠો હતો. હું પ્રોજેક્શન રૂમમાંથી જયાને જોઇ શકતી હતી. ફિલ્મમાં જ્યારે અમારા લવ-સિન આવ્યા ત્યારે જયાની આંખમાંથી આંસું સરી પડતાં મેં જોયા હતા.'
અમિતાભે રેખા સાથે કામ કરવાની ના પાડી
'જયા બચ્ચનવાળી એ ઘટનાના લગભગ એક અઠવાડિયા બાદ ઇન્ડસ્ટ્રીમાંથી મને વાતો મળી કે, અમિતાભે તેમના તમામ પ્રોડ્યૂસર સાથે સ્પષ્ટ કરી દીધું છે, તેઓ હવે મારી સાથે કામ નહીં કરે. આ અંગે મને લોકોએ જાણકારી આપી, પરંતુ તેમણે એક પણ શબ્દ નહોતો કહ્યો. જ્યારે મેં તેમને આ અંગે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે, આ અંગે હું એક પણ શબ્દ બોલીશ નહીં, માટે હવે આ અંગે સવાલ કરીશ નહીં.'
ઋષિ-નીતુ કપૂરના લગ્નમાં
'જો કે, 'મુકદ્દર કા સિંકદર'નો ટ્રાયલ શો એ પહેલો પ્રસંગ નહોતો, જ્યારે રેખાને કારણે જયા બચ્ચનની આંખમાં આસું આવ્યા હોય. અહેવાલો અનુસાર, ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નમાં રેખા અને અમિતાભની ક્લોઝનેસથી જયાને ખરાબ લાગ્યું હતું. આ લગ્નમાં રેખા માથામાં સિંદૂર અને મંગળસૂત્ર સાથે પહોંચ્યા હતા અને તેમણે અમિતાભ સાથે પણ થોડી વાતો કરી હતી. આ દરમિયાન જયા બચ્ચનના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જોઇ શકાતી હતી. પહેલા તો જયાએ આ અંગે શાંત રહેવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ આખરે તેમની આંખમાં આંસુ આવી જ ગયા હતા.'
રેખાએ આપી હતી સ્પષ્ટતા
'ત્યાર બાદ એક ઇન્ટરવ્યુમાં રેખાએ પોતાના મંગળસૂત્ર અને સિંદુર અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, તેઓ એક ફિલ્મના શૂંટિગ બાદ સીધા લગ્નમાં પહોંચ્યા હતા. એ ફિલ્મના તેમના પાત્રને અનુરૂપ ડ્રેસિંગ હતું અને લગ્નમાં આવતાં પહેલાં તે એ કાઢવાનું ભૂલી ગયા હતા. અન્ય એક ઇન્ટરવ્યુમાં રેખાએ એવી પણ સફાઇ આપી હતી કે, તેમને ત્યાં સિંદૂર લગાવવું એ ફેશનમાં ગણાય છે અને આથી તેઓ હંમેશા સિંદૂર લગાવે છે.'
રેખા અને અમિતાભ બચ્ચન
કહેવાય છે કે, આ પ્રેમ કહાણીની શરૂઆત 'દો અંજાને'ના સેટ પર થઈ હતી. આ જોડી એ 'ખૂન પસીના', 'ગંગા કી સોગંધ', 'મુકદ્દર કા સિકંદર' અને 'સિલસિલા'માં સાથે કામ કર્યું છે. એ સમયે પણ તેમના સંબંધોની અનેક વાતો બહાર આવતી હતી. પરંતુ જયા બચ્ચનની એ ઘટના બાદ આજ સુધી અમિતાભ અને રેખાએ પોતાના સંબંધોમાં એક અંતર જાળવી રાખ્યું છે. જો કે, વર્ષ 2014ના એક એવોર્ડ ફંક્શનમાં રેખા અને અમિતાભ એકબીજાને નમસ્તે કરતા કેમેરામાં કેદ થયા હતા અને એ જ ફંક્શનમાં રેખા અને જયા બચ્ચન પણ એકબીજા સાથે હસીને વાત કરતા નજરે પડ્યા હતા.