નેપોટિઝમ વિવાદ અંગે સૈફે તોડી ચુપ્પી, લખ્યો ઓપન લેટર
સૈફ અલી ખાને નેપોટિઝમ(સગાવાદ) પર એક ઓપન લેટર લખ્યો છે.
આઇફા 2017માં ઇન્ટરનેશલ સ્ટેજ પર કરણ જોહર, સૈફ અલી ખાન અને વરુણ ધવને નેપોટિઝમ(સગાવાદ) અંગે ટિપ્પણી કરી હતી અન કંગનાની મજાક ઉડાવી હતી. આ મામલે વરુણ ધવન અને કરણ જોહર પહેલાં જ માફી માંગી ચૂક્યા છે અને હવે પટૌડી પરિવારના લાડકા નવાબે પણ પોતાની ભૂલ સ્વીકરતો ઓક ઓપન લેટર લખ્યો છે. જે પ્રતિષ્ઠિત ડેઇલીમાં પ્રકાશિત થયો છે. સૈફ અલી ખાને જાતે કંગના રાણાવતને ફોન કરી આ ટિપ્પણી બદલ માંગી હોવાનું પણ જણાવ્યું છે.
'અમે તો પોતાના પર રમૂજ કરી હતી'
ડીએનએમાં પ્રકાશિત થયેલ આ પત્રમાં સૈફે લખ્યું છે, 'છેલ્લા ઘણા દિવસોથી આઇફા 2017ના સ્ટેજ પર ભજવાયેલ નાટક અંગે ઘણી વાતો થઇ રહી છે. Nepotism Rocks માત્ર એક જોક હતો, હું એમાં માનતો નથી અને એ જોક મેં લખ્યો પણ નહોતો. એ જોકમાં અમે(સૈફ, વરુણ અને કરણ) પોતાના પર જ રમૂજ કરી હતી. એ એટલી મોટી વાત નહોતી, પરંતુ હું માનું છું કે, એમાં કેટલેક અંશે કંગનાને ખરાબ લાગ્યું હશે. આથી મેં એને પર્સનલી ફોન કરીને માફી માંગી છે.'
'આ મામલો અહીં જ પૂર્ણ થવો જોઇએ'
'આ સાથે આ મામલો અહીં જ પૂર્ણ થઇ જવો જોઇએ. આજના જમાનામાં ટ્વીટર કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા માફી માંગવામાં આવે છે, જેનો અર્થ છે કે તમે તમારા ફેન્સ અને અન્ય લોકોની માફી માંગો છો, જ્યારે કે તમારે એ વ્યક્તિની માફી માંગવી જોઇએ જેની લાગણી તમે દુભાવી છે. આપણે આવા જમાનામાં રહીએ છીએ.' નોંધનીય છે કે, આઇફાના નેપોટિઝમ એક્ટ બાદ સૌ પ્રથમ વરુણ ધવને માફી માંગી હતી અને તે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર. શું સૈફનો ઇશારો એ તરફ છે?
'મેં કંગનાની માફી માંગી લીધી, અન્ય કોઇ સ્પષ્ટીકરણની જરૂર નથી'
'આપણે સોશિયલ મીડિયા પર જ બર્થ ડે વિશ કરીએ છીએ અને કોઇના દુઃખમાં સહભાગી થવા માટે પણ સોશિયલ મીડિયાનો જ આધાર લઇએ છીએ. આ બધું મને ફેક લાગે છે અને સોશિયલ મીડિયા પર ન હોવા પાછળનું એક કારણ આ પણ છે. સ્ટેજ પર બોલવાની વાત છે, તો મને પૂરી ખાતરી છે કે આ કંઇ પહેલી કે છેલ્લી વાર નથી જ્યારે રમૂજ કરવા જતાં મેં સ્ટેજ કંઇ મૂર્ખામીપૂર્ણ વાત કરી હોય. મેં પર્સનલી કંગનાની માફી માંગી લીધી છે અને બીજા કોઇને સ્પષ્ટતા આપવાની મને જરૂર જણાતી નથી. આ મુદ્દો અહીં જ પૂર્ણ થાય છે.'
'મીડિયાનું રિએક્શન મને ન સમજાયું'
'આઇફામાં કંગના રાણાવત પર જોક બનાવવામાં આવ્યા, પરંતુ આ અંગે મીડિયાનું રિએક્શન મને કંઇ સમજાયું નહીં. મોટા ભાગના લોકો આ અંગે સેન્સિબલ હતા, પરંતુ કેટલાક રિપોર્ટર્સે કહ્યું કે, મેં સ્ટેજ પર માત્ર યુજેનિક્સ અને જેનેટિક્સ જેવા મોટા-મોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. નેપોટિઝમના વિષય અનુસાર, આ શબ્દો યોગ્ય હતા. નેપોટિઝમ એટલે પરિવારવાદ અને યુજેનિક્સનો અર્થ થાય છે, સારા પરિવારમાં જન્મવાથી તમે જે વારસો સાથે લાવ્યા છો તે, એટલે કે જિન્સ. ફિલ્મોની વાત કરીએ તો લોકોને હંમેશા એ જાણવાની ઇચ્છા હોય છે કે, ધર્મેન્દ્ર, અમિતાભ કે શર્મિલા ટાગોરના પુત્રમાં તેના માતા-પિતાના જિન્સ(એક્ટિંગ સ્કિલ) છે કે કેમ. બીજું ઉદાહરણ આપું તો, ઘોડામાં આપણે ડર્બી રેસના વિજેતા ઘોડાને લઇએ, તેના માટે એક સારું પાર્ટનર શોધીએ, જેથી ખબર પડી શકે કે તેમને થનાર ઘોડો પણ નેશનલ વિનર બને છે કે કેમ. જેનેટિક્સ અને સ્ટાર કિડ્સ વચ્ચે પણ આ જ સંબંધ છે.'
'મીડિયા છે નેપોટિઝમનું પ્રચારક'
'મારા મતે તો મીડિયા નેપોટિઝમનું સૌથી મોટું પ્રચારક છે. તેઓ તૈમૂરને અત્યારથી સેલિબ્રિટીની માફક ટ્રીટ કરે છે, એ જ આ વાતનું ઉદાહરણ છે. શાહિદ કપૂરની પુત્રી મીશા, શાહરૂખનો પુત્ર અબરામ વગેરેને મીડિયા જ વધારે પડતું મહત્વ આપે છે. મીડિયા તેમની તસવીરો લે છે અને વાતને વધુ હાઇપ આપે છે. આવામાં બાળક પાસે કોઇ ચોઇસ જ ક્યાં છે? તેઓ બોલતાં કે ચાલતાં શીખે એ પહેલાં જ તેમને સેલિબ્રિટી બનાવી દેવામાં આવે છે અને ખૂબ નાની ઉંમરથી તેમણે આ હેન્ડલ કરવું પડે છે.'
શું છે નેપોટિઝમ?
'શું છે નેપોટિઝમ? મારા મતે નેપોટિઝમનો અર્થ છે કે, તમે કોઇ કામ માટે તમારા પરિવારના સભ્યન પસંદગી કરો છે અને અન્ય પાસે વધુ ટેલેન્ટ હોવા છતાં તેને તક નથી મળતી. પરંતુ શું ફિલ્મોમાં ખરેખર આવું થાય છે? લોકો જ્યારે કહે છે કે, ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ છે, ત્યારે શું એમનો આ અર્થ હોય છે? મને તો લાગે છે (અને આ માત્ર મારું અનુમાન છે) કે, કંગનાનો અર્થ હતો કે ધર્મા પ્રોડક્શન અને યશરાજ ફિલ્મ્સ કંગના જેવા સ્ટાર્સથી દૂર રહે છે, જેઓ ઇન્ડસ્ટ્રીમાં તેમની મદદ વિના અને પોતાની મહેનતે આટલા આગળ આવ્યા છે. પરંતુ આ બધા સાથે મને કોઇ લેવા-દેવા નથી.'
'રાજકારણ અને વેપારમાં પણ છે નેપોટિઝમ'
'રાજકારણ અને વેપારનું પણ વણબોલેલું સત્ય છે નેપોટિઝમ, પરંતુ આ અંગે કોઇ વાત નથી કરતું. નેપોટિઝમ ત્યારે કહેવાશે, જ્યારે ડોનાલ્ડ ટ્રંપ વ્હાઇટ હાઉસમાં પોતાની પુત્રીને કોઇ એવું પદ આપે, જે પદ માટે વધુ લાયકાતવાળો વ્યક્તિ હાજર હોય. સ્ટાર્સ ખૂબ સરળતાથી લોકોના નિશાને આવી જાય છે. જ્યારે લોકો કહે છે કે, સ્ટાર કિડ્સ હોવાના ફાયદા છે, તો હા ફાયદા તો ચોક્કસ છે અને આ ફાયદાઓ પ્રેસ તરફથી જ તેમને મળ્યાં છે. કારણ કે, લોકોને તેમને જોવામાં રસ હોય છે. તૈમૂર, સારા અને ઇબ્રાહિમને લોકો જોવા માંગે છે. આ ડિમાન્ડ એન્ડ સપ્લાય જેવું છે, લોકોને તેમને જોવાની ઇચ્છા છે અને મીડિયા તેમની ઇચ્છા પૂરી કરે છે. આપણે સૌ આ સર્કલનો એક ભાગ છીએ.'
'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ ન ચાલી શકે'
'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ ન ચાલી શકે, કારણ કે અહીં લોકતંત્ર ચાલે છે, એટલે કે લોકોની શક્તિ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સત્યતા સાથે કામ થાય છે. હા મને કદાચ મને આ તક મારી માતાને કારણે મળી હશે, કારણ કે પ્રોડ્યૂસર અનુસાર કોઇ બીજાને સાઇન કરવા કરતાં આ વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ છે. મને અન્યોની સરખામણીએ લોકોને મળવામાં ઓછી તકલીફ પડે છે. પરંતુ અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીની બહારના છે, લોકો જ્યારે એને મળતા હતા તો મારી જગ્યાએ એને તક આપતા હતા. કારણ કે, તેઓ બિઝનેસમેન છે, તેમને ટેલેન્ટની પરખ છે. ફિલ્મ દર્શકોને કારણે હિટ જાય છે, પરિવારના સભ્યોને કારણે નહીં. અંતે હું એક જ વાત કહેવા માંગીશ, જે જૉની ડેપે કહી હતી. Never complain and never explain - ક્યારેય ફરિયાદ ન કરો અને ક્યારેય સ્પષ્ટીકરણ ન આપો. મને લાગે છે કે, આ ઘણી સારી સલાહ છે.'