Sanjay Dutt Birthday: 50ની ઉંમરે 21 વર્ષ નાની માન્યતા સાથે કર્યા ત્રીજા લગ્ન, લંગ કેન્સરને આપી મ્હાત
આજે સંજય દત્તનો 63મો જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને તેમના 3 લગ્ન અને કેન્સરને હરાવવાની લડાઈ વિશે જણાવીએ.
મુંબઈઃ બૉલિવુડના તેજસ્વી અભિનેતા સંજય દત્તના જીવનમાં વિવાદોનો લાંબો ઈતિહાસ છે. 3 લગ્ન, 300 અફેર અને 5 વર્ષની જેલની સજા, સંજય દત્તના જીવનમાં આવા ઘણા ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ તે હંમેશા એક્ટિંગના દમ પર લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા. અભિનેતા અને રાજનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગીસના પુત્ર સંજય દત્તે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે, તેણે 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં જીવનના કેટલાક વર્ષો જેલમાં પણ વિતાવ્યા હતા. તમને જણાવી દઈએ કે હવે સંજય દત્તે રીલ અને રિયલ લાઈફ બંનેમાં નવી શરૂઆત કરી છે. આજે તેમનો 63મો જન્મદિવસ છે. આ અવસર પર અમે તમને તેમના 3 લગ્ન અને કેન્સરને હરાવવાની લડાઈ વિશે જણાવીએ.
સંજય દત્તની હતી 300 ગર્લફ્રેન્ડ
સંજય દત્તનુ નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ હતુ જેમાંથી એક માધુરી દીક્ષિત પણ હતી. સંજય દત્તે પોતે કબૂલાત કરી હતી કે તેની 300 જેટલી ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. તમને જણાવી દઈએ કે સંજય દત્તના પહેલા લગ્ન 1987માં રિચા શર્મા સાથે થયા હતા. જેમાંથી પુત્રી ત્રિશાલા દત્તનો જન્મ થયો હતો. પરંતુ બ્રેઈન ટ્યુમરના કારણે રિચાએ વર્ષ 1996માં આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
પાકિસ્તાની મોડલ સાથે જોડાયુ નામ
આ પછી સંજય દત્તે વર્ષ 1998માં રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે અણબનાવ થયો અને વર્ષ 2002માં બંને અલગ થઈ ગયા. બીજી પત્ની રિયા પિલ્લઈથી અલગ થયા બાદ સંજય દત્તનુ નામ પાકિસ્તાની મોડલ નાદિયા સાથે જોડાવા લાગ્યું. ત્યારબાદ સંજયના જીવનમાં માન્યતા આવી અને વર્ષ 2008માં બંનેએ લગ્ન કરી લીધા. હવે સંજય અને માન્યતા બે બાળકોના માતા-પિતા છે.
માન્યતા સાથે કર્યા ત્રીજા લગ્ન
માન્યતા દત્તનુ સાચુ નામ દિલનવાઝ શેખ છે. તેનો જન્મ 22 જુલાઈ 1978ના રોજ મુંબઈમાં થયો હતો. તેનુ બાળપણ દુબઈમાં વીત્યુ પરંતુ અભિનય પ્રત્યેનો તેનો પ્રેમ તેને મુંબઈ લઈ આવ્યો. માન્યતા જ્યારે બૉલિવુડમાં આવી ત્યારે તેણે પોતાનુ નામ બદલીને સારા ખાન રાખ્યુ હતુ. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ નામથી જાણીતી હતી. પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં આઈટમ નંબર કર્યા બાદ તેણે પોતાનુ નામ બદલીને માન્યતા કરી દીધુ.
સંજય દત્તથી 21 વર્ષ નાની છે માન્યતા
11 ફેબ્રુઆરી 2008ના રોજ સંજય અને માન્યતાએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. સંજય દત્તના આ ત્રીજા લગ્ન હતા. તે સમયે માન્યતાની ઉંમર માત્ર 29 વર્ષની હતી જ્યારે સંજય દત્તની ઉંમર 50 વર્ષની હતી. સંજુ બાબાની બે બહેનો પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત આ લગ્નમાં આવી ન હતી. તે સંજય અને માન્યતાના સંબંધોથી ખુશ નહોતી. તેની બહેન પ્રિયા દત્તે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે મને તેના લગ્ન વિશે પણ ખબર નથી. બંનેના લગ્નનો સંજય દત્તના પરિવાર દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે બંને વચ્ચે લગભગ 20 વર્ષનો તફાવત હતો. તમને જણાવી દઈએ કે માન્યતા સંજય દત્તની દીકરી ત્રિશાલાથી માત્ર 10 વર્ષ મોટી છે.
માન્યતા છે પરિવારનો મોટો સપોર્ટ
સંજય દત્તના કહેવા પ્રમાણે પિતા સુનીલ દત્ત તેમના માટે એક ખડક જેવા હતા. જ્યારે તેઓ ત્યાં ન હતા ત્યારે એવુ લાગતુ હતુ કે સહારો ખોવાઈ ગયો હતો અને કેટલાક વર્ષો મુશ્કેલ હતા. સંજય દત્તે તેની પત્ની માન્યતાને પરિવારનો મજબૂત આધારસ્તંભ ગણાવ્યો અને કહ્યુ કે મુશ્કેલ સમયમાં પણ માન્યતાએ આખા ઘરને સંભાળી રાખ્યું છે. તે દરેક મુશ્કેલીમાં પરિવાર અને તેમની સાથે ઉભી રહી છે.
લંગ કેન્સરને આપી મ્હાત
સંજય દત્ત ફેફસાના કેન્સરના ચોથા સ્ટેજ પર હતા. તે સમય માત્ર સંજય દત્ત માટે જ નહીં પરંતુ તેના નજીકના મિત્રો, પરિવાર અને ચાહકો માટે પણ ખૂબ જ પરેશાન કરનારો હતો. જો કે સંજુ બાબાએ આ બીમારી સામેની લડાઈ જીતી લીધી છે પરંતુ આજે પણ તે સમયને યાદ કરીને તે કંપી જાય છે. તે હવે તેના ચાહકો, મિત્રો અને સામાન્ય લોકોને ડ્રગ્સ અને ખરાબ વ્યસનથી દૂર રહેવાની સલાહ આપે છે.