સંજય દત્તને ફરી મળી પૅરોલ, પરિવાર સાથે ઉજવશે New Year
મુંબઈ, 23 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેતા સંજય દત્તને વર્ષ 2013માં લગભગ ચાર વર્ષ માટે જેલની સજા થઈ હતી. તાજેતરમાં જ તેમની 14 દિવસની હંગામી રજાની અરજી મંજૂર કરવામાં આવી છે. સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ જેલની સજા આપવામાં આવી હતી અને તેના પગલે તેઓ પુણેની યરવડા જેલમાં સજા કાપી રહ્યા છે. મંગળવારે સંજય દત્તની રજા અંગે જેલ વહિવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો.
નોંધનીય છે કે સંજય દત્ત 1993માં થયેલ મુંબઈ બૉમ્બ ધડાકા અંગે ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ પોતાના ઘરે રાખવાના ગુના અંગે દોષી ઠેરવાયા હતાં. આ અગાઉ પણ તેઓ 18 માસની જેલની સજા કાપી ચુક્યા છે. સંજયે પોતાની અત્યાર સુધીની સજા દરમિયાન લગભગ 118 દિવસો પૅરોલ પર જેલની બહાર પસાર કર્યા છે અને તેમની પૅરોલ અંગે સામાન્યતઃ વિવાદો ઊભા થતાં રહ્યા છે.
સંજય દત્ત તાજેતરમાં જ રિલીઝ થયેલી આમિર ખાન અને અનુષ્કા શર્મા અભિનીત તથા રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મમાં દેખાયા છે.