સોનૂ સૂદને ચૂંટણી પંચે બનાવ્યા પંજાબ વિધાનસભા ચૂંટણીના સ્ટેટ આઈકન
ભારતીય ચૂંટણી પંચે સોનૂ સૂદને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેટ આઈકન ચૂંટ્યા છે.
ચંદીગઢઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લાગુ લૉકડાઉન દરમિયાન બૉલિવુડ અભિનેતા સોનૂ સૂદે ગરીબો અને મજૂરો માટે જે કર્યુ તેણે તેને મસીહા બનાવી દીધા. હવે ભારતીય ચૂંટણી પંચે સોનૂ સૂદને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેટ આઈકન બનાવ્યા છે. સોનૂ સૂદ પંજાબમાં ચૂંટણી સંબંધી જાગૃતિ ફેલાવતા જોવા મળશે. ભારતીય ચૂંટણી પંચે તેમની નિયુક્તિ વિશે સોમવારે એક પત્ર જારી કર્યો છે.

લોકોમાં ચૂંટણી પ્રક્રિયા સંબંધી જાગૃતિ ફેલાવશે
મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ કરુણા રાજૂએ જણાવ્યુ કે ફિલ્મ અભિનેતા સોનૂ સૂદને સ્ટેટ આઈકન નિયુક્ત કરવા માટે ચૂંટણી અધિકારી કાર્યાયલ પંજાબ તરફથી ભારતીય ચૂંટણી પંચને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેને મંજૂરી મળી ગઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય, પંજાબ રાજ્યમાં સોનૂ સૂદ સાથે મળીને લોકોમાં ચૂંટણી પ્રક્રિયા સંબંધી જાગૃતિ ફેલાવશે. સોનુએ આ સમ્માન પર ખુશી વ્યક્ત કરી અને કહ્યુ કે તે આનાથી સમ્માનિત અનુભવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબ રાજ્યના મોગા જિલ્લા સાથે સંબંધ ધરાવતા સોનૂ સૂદે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી સોનૂ સૂદને અવૉર્ડ
સોનૂ સૂદ દ્વારા લોક કલ્યાણ માટે ઘણુ કામ કરવામાં આવી રહ્યુ છે. લૉકડાઉન દરમિયાન સૂદે વિવિધ સ્થળોએ ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં ખૂબ જ મદદ કરી હતી જેના માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી. કોરોના દરમિયાન કરેલા કાર્યોને જોતા સંયુક્ત રાષ્ટ્ર ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી સોનૂ સૂદને એસડીજી સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન અવૉર્ડ પણ આપવામાં આવ્યો. આ ઉપરાંત ફિલ્મોમાં કરેલ કામ માટે પણ અલગ અલગ રાજ્ય સરકારો તરફથી તેમને સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

ડિસેમ્બરમાં રિલીઝ થશે સોનૂ સૂદની આત્મકથા
થોડા દિવસો પહેલા સોનૂએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઘોષણા કરી હતી કે તે પોતાની આત્મકથા પ્રકાશિત કરવા જઈ રહ્યા છે જેનુ નામ છે 'મે મસીહા નહિ હુ'. આ સાથે જ તેમણે પોતાની આત્મકથાનુ કવર પેજ પણ શેર કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે તેમની આત્મકથા મીરા અય્યરે લખી છે. તેની ભાષા એવી હશે જેનાથી વાંચનારને લાગે કે સોનૂ સૂદ ખુદ વાત કરી રહ્યા છે. આ પુસ્તક ફેન્સ માટે ડિસેમ્બરમાં ઉપલબ્ધ થશે. હિંદી અને અંગ્રેજીમાં પ્રકાશિત થનારા આ પુસ્તકમાં સોનૂની જિંદગીના અનુભવો સાથે પ્રવાસી શ્રમિકોનો પણ વિસ્તારથી ઉલ્લેખ હશે.












Click it and Unblock the Notifications
