મીડિયા સાથે વાતચીત નહીં કરે સૂરજ : આદિત્ય પંચોલી
મુંબઈ, 2 જુલાઈ : જિયા ખાન આત્મહત્યા કેસના મુખ્ય આરોપી સૂરજ પંચોલીને આજે સાંજે જેલમાંથી છોડી મૂકવામાં આવશે, પરંતુ સૂરજ જેલમાંથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે કોઈ પણ જાતનું ઇંટરેક્શન નહીં કરે. આ નિર્ણય છે સૂરજના પિતા બૉલીવુડ અભિનેતા આદિત્ય પંચોલીનો. સૂરજ જેલથી નિકળી સીધા ઘરે જશે. તેમના પિતા આદિત્ય અને માતા ઝરીના વહાબ તેમને લેવા જેલ જશે, પરંતુ તેમાંનો કોઈ પણ મીડિયા સાથે વાત નહીં કરે.
જોકે મીડિયાએ અત્યારથી જ મુંબઈની આર્થર રોડ જેલ બહાર ગિરદી લગાવી દીધી છે, પરંતુ આદિત્ય પંચોલીએ જણાવી દીધું છે કે તેઓ અને તેમનો પરિવાર હાલ કોઈની સાથે વાત નહિં કરે. સૂરજ પંચોલીને ગઈકાલે મુંબઈ હાઈકોર્ટે એમ જણાવતાં જામીન આપ્યા હતાં કે જિયા ખાન આત્મહત્યા કેસ માટે એકલા સૂરજ પંચોલી જ જવાબદાર ન ગણી શકાય.
દરમિયાન સૂરજ પંચોલીને આજે સાંજે આર્થર રોડ જેલમાંથી મુક્તિ મળશે. સૂરજ પંચોલી ત્યાંથી સીધા પોતાના ઘરે જશે અને મીડિયા સાથે કોઈ પણ જાતની વાતચીત નહીં કરે. આદિત્ય પંચોલીએ મીડિયાને મૅસેજ મોકલી જણાવ્યું - અમને કોર્ટની નોટિસ મળી ગઈ છે અને સૂરજ પંચોલી 4થી 5 વાગ્યા સુધી જેલમાંથી ઘરે આવશે, પરંતુ તેઓ મીડિયા સાથે કોઈ પણ જાતની કોઈ વાતચીત નહીં કરે અને નથી અમારામાંથી પણ કોઈ ઇંટરવ્યૂ આપવાનું છે.