હવે મુન્નાભાઈ ચલે દિલ્હી, દિગ્દર્શક બદલાયાં
મુંબઈ, 2 માર્ચ : બૉલીવુડની લોકપ્રિય મુન્નાભાઈ સિરીઝની સિક્વલ હવે રાજકુમાર હીરાણી નહીં, પણ સુભાષ કપૂર દિગ્દર્શિત કરશે. આ માહિતી નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ આપી.
વિધુ વિનોદ ચોપરાએ જણાવ્યું - અમે સુભાષની ફિલ્મ જૉલી એલએલબીથી ખૂબ પ્રભાવિત છીએ. તેથી અમે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી સિક્વલ મુન્નાભાઈ ચલે દિલ્લી ફિલ્મના દિગ્દર્શનનું બીડું સુભાષ કપૂરના હાથે સોંપ્યું છે. જોકે સુભાષ કપૂર આ અગાઉ હિટ ફિલ્મ ફંસ ગયે રે ઓબામા બનાવી ચુક્યાં છે.
મુન્નાભાઈ સિરીઝની શરુઆત મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ સાથે શરૂ થઈ હતી અને તેની સિક્વલ તરીકે લગે રહો મુન્નાભાઈ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ બંને ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર હીરાણીએ કર્યુ હતું. બંને ફિલ્મો મુન્નાભાઈ એમબીબીએસ (2003) તથા લગે રહો મુન્નાભાઈ (2006) બૉક્સ ઑફિસે રેકૉર્ડ તોડનારી સાબિત થઈ હતી. બંને ફિલ્મોમાં સંજય દત્ત મુન્નાભાઈના રોલમાં હતાં, જ્યારે અરશદ વારસીએ સર્કિટનો રોલ કર્યો હતો.