‘જેલમાં સ્વસ્થ છે સૂરજ’ : બહેન સનાએ કરી મુલાકાત
મુંબઈ, 18 જૂન : અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી આર્થર રોડ જેલમાં કુખ્યાત ગુનેગારો સાથે બંધ છે અને તેમને મળવા ગયેલ તેમના બહેનનું કહેવું છે કે સૂરજ પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી રહ્યાં છે.
સૂરજના બહેન સના પંચોલીએ તાજેતરમાં જ જેલમાં જઈ સૂરજ પંચોલી સાથે મુલાકાત કરી. તેમના પરિવાર માટે સારી બાબત એ છે કે સૂરજ માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ છે. પંચોલી પરિવારના એક મિત્રે જણાવ્યું - સના ખૂબ જ ભયભીત અને નિરાશ અવસ્થા સાથે ત્યાં ગયા હતાં, પરંતુ તેઓ આશાઓ સાથે પરત ફર્યાં. સનાને આ વાતનો વિશ્વાસ છે કે તેમનો ભાઈ ટુંકમાં જ જેલમાંથી બહાર આવશે. સૂરજે પણ સનાને પોતાની હાલત અંગે આશ્વાસન આપ્યું છે.
નોંધનીય છે કે સૂરજ પંચોલી હજી બૉલીવુડ કૅરિયર શરૂ કરવાના હતાં કે તે અગાઉ જ તેઓ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં અટવાઈ ગયાં છે. સૂરજને સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મમાં હીરો તરીકે લેવાના હતાં.
પંચોલી પરિવારના મિત્રના જણાવ્યા મુજબ - અન્ય સાથી કેદીઓ સૂરજ અચાનક જેલમાં આવતાં તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે તથા તેઓ જેલમાં થતી હિંસામાંથી તેને બચાવી તેની રક્ષા કરે છે. સૂરજને ખબર છે કે તેના પિતા આદિત્ય પંચોલી ગભરાયેલાં છે. સૂરજે સનાને સંદેશો આપ્યો કે તેઓ પિતાને કહે કે મેં કશુંય કર્યું નથી. મેં કોઈ ગુનો કબુલ નથી કર્યો.